Get The App

ફડચા અધિકારી, સહકાર ખાતાના કર્મચારીઓ, પ્રમુખ અને સભ્યોની 2.66 કરોડની ઠગાઈ

- ઝાલાવાડ જીનિંગ-પ્રેસિંગ સહકારી મંડળીમાં

Updated: Jul 21st, 2021

GS TEAM

Google News
Google News
ફડચા અધિકારી, સહકાર ખાતાના કર્મચારીઓ, પ્રમુખ અને સભ્યોની 2.66 કરોડની ઠગાઈ 1 - image


- મંડળીના સભાસદે જ પોલીસમાં ફરિયાદ નોંધાવી : ખોટા રેકર્ડ ઊભા કરી મંડળી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો ગંભીર આક્ષેપ

સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બનેલી ઝાલાવાડ જીનીંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળી લી.ના સભ્ય દ્વારા ફડચા અધિકારી, સહકારી ખાતાના કર્મચારીઓ, મંડળીના પ્રમુખ અને કારોબારી સભ્યો સામે રૂા. ૨,૬૬,૭૫,૦૦૦ (અંકે રૂા. બે કરોડ છાસઠ લાખ પંચોતેર હજાર) ની ફ્રોડ રેકર્ડ ઉભા કરી ગેરરીતી આચરવામાં આવી હોવાની પોલીસમાં લેખીત ફરીયાદ થતા ચકચાર મચી જવા પામી છે. 

વઢવાણ તાલકુાના વસ્તડી ગામનાં રહીશ અને ઝાલાવાડ જીનીંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળી લી.ના સભાસદ (નં.૧૧૭૦) વજુભાઈ ઉર્ફે વજેસંગભાઈ અલુભાઈ ગોહિલે લેખીત ફરીયાદમાં જણાવ્યા મુજબ ૧૯૯૩માં મંડળીને ફડચામાં લઈ જવાની કાર્યવાહી શરૂ કરાઈ ત્યારે ફડચા અધિકારી દ્વારા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી મંડળીની મિલ્કતોનું વેચાણ કરતા ઉપજેલ રૂા. ૬,૫૯,૬૦,૭૨૬ તા. ૧૧/૧૨/૨૦૨૦ ના રોજ મંડળીના ખાતામાં જમા હતા. કોરોના કાળમાં લોકડાઉનને કારણે લોકોની જેમ સભાસદો આવન જાવન કરી શકતા નહી તેનો ફાયદો ઉઠાવીને ફડચા અધિકારી, જીલ્લા રજીસ્ટ્રાર તથા અન્ય કર્મચારીઓ, હાલના મંડળીના કારોબારી સભ્યો તથા જમીન વેચાણ કરનાર વિગેરેએ ભેગા મળી મંડળીની રકમ ચાઉ કરી જવા પૂર્વ આયોજનના ભાગ રૂપે તા. ૧૨/૦૩/૨૦૨૦ ના રોજ મંડળીને પુનઃ જીવિત કરવા અરજી કરી હતી સભાસદ દેદાદરાના રાયમલભાઈ ગોવિંદભાઈ ચાવડા તથા અન્ય સભાસદો (સાચા - ખોટા) ની સહિવાળી અરજી કરવામાં આવી હતી. અરજી કરનાર મુખ્ય અરજદાર રાયમલભાઈએ એમા સહી કરેલ નથી. અરજી કરના અનુક્રમ નં.-૧૫ ૫ટેલ છગનભાઈ બાવલભાઈ તા. ૫/૧/૨૦૦૮ ના રોજ ગુજરી ગયા છે અનુક્રમ નં ૧૪  ૫ટેલ ગોવિંદભાઈ રામજીભાઈ છેલ્લા ૬ -૭ વર્ષથી અમેરીકા રહે છે. તેની ખોટી બનાવટી સહીઓ કરેલ છે. મોટાભાગની સહીઓ કૌભાંડી ટોળકીએ ઉભી કરી મંડળીને પુનઃ જીવીત કરવાનું કાવતરૂ રચ્યુ હોવાનું આ લેખીત ફરીયાદમાં જણાવાયેલ છે. 

આ ફરીયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવેલ છે કે, ફડચા અધિકારી દ્વારા તા. ૧૧/૧૨/૨૦૨૦ ના રોજ વાસ્તવિકતા વિરૂધ આંકડાઓ બતાવી મંડળીને પુનઃ જીવીત કરવા અંગેની દરખાસ્ત જીલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ)  - સુરેન્દ્રનગરને મોકલી હતી. જીલ્લા રજીસ્ટ્રારે તા. ૨૩/૨/૨૦૨૧ ના રોજ મંડળીને પુનઃ જીવીત કરવાનો આદેશ કરેલ છે. હકીકતે નિયમો અને જોગવાઈ મુખ્ય મંડળી  જીવીત કરવા બાબતે કુલ સભાસદો ૧૩૯૯ પૈકી ૧/૫ એ૮લે કુે ૨૭૯ સભ્યોની સહીવાળી અરજી હોવી જોઈએ તેમ છતા ફડચા અધિકારી અને રજીસ્ટ્રાર તા. ૧૩/૩/૨૦૨૧ ની બનાવરી સહીઓ વાળી અરજી બાબતે મંડળીને પુનઃ જીવીત કરવાનો નિર્ણય કરેલ જે બતાવે છે કે, મંડળીને પુનઃ  જીવીત કરવાનું કાવતરૂ કરી મંડળીમાં પડેલ નાણા સાચા - ખોટા રેકર્ડ ઉભા કરી કૌભાંડ કરી ભાગ પડેલ હોય તેવુ દેખાય છે. પોલીસને કરવામાં આવેલ લેખીત ફરીયાદમાં આવા અનેક આક્ષેપ કરાયા છે. અને તમામ સામે ફોજદારી રાહે પગલા લેવા માંગ કરવામાં આવેલ છે. 

મૃતકો અને વિદેશ રહેતા લોકોની બનાવટી સહીઓ કરી

વસ્તડીનાં વજુભાઈ અલુભાઈ ગોહિલે બી ડીવીઝન પોલીસ મથકે આવેલી લેખીત ફરીયાદમાં જણાવ્યા મુજબ મંડળીને પુનઃ જીવીત કરવા બાબતે થયેલી તા. ૧૨/૩/૨૦૨૦ વાળી અરજીમાં અનુક્રમ નં ૧૫ પટેલ છગનભાઈ બાવલભાઈ તા. ૫/૧/૨૦૦૮માં ગુજરી ગયા છે અનુક્રમ નં ૧૪ પટેલ ગોવિંદભાઈ રામજીભાઈ છેલ્લા ૬-૭ વર્ષાથી અમેરીકા રહે છે તેની ખોટી બનાવટી સહીઓ કરેલ છે. અનુક્રમ નં. ૫૧ ભુસડીયા સવાભાઈ હાજાભાઈ ગુંદીયાળા વાળા પોતે અભણ છે તેમની પણ ખોટી સહી કરેલ છે. આ ઉપરાંત ઘણા સભાસદો છે જેમણે સહી કરેલ નથી તેવું સોગંદ નામુ આપેલ છે. 

Tags :