Gujarat

સુરેન્દ્રનગરમાં દુબઈ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી આવેલા 17 લોકોને કવોરન્ટાઈન કરાયા

By GS Team
4 Dec 20212 mins read
This article was originally published on 4 Dec 2021
સુરેન્દ્રનગરમાં દુબઈ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી આવેલા 17 લોકોને કવોરન્ટાઈન કરાયા

વિદેશથી આવનારા લોકોને હોમ આઇસોલેશનમાં રખાયા

ટેસ્ટિંગમાં તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો :  ગાઇડલાઇનના કડક પાલન માટે સૂચના

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં દુબઈ અને કેનેડાથી આવનારા ૧૭ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસનાં નવા વેરીઅન્ટ ઓમીક્રોનની દહેશત વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ સાબદું બન્યું છે. વિદેશથી આવેલા આ ૧૭ જેટલી વ્યકિતને ૧૪ દિવસ માટે હોમ આઇસોલેશનમાં રહેવા તાકિદ કરવામાં આવી છે. 

આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત એવી છે કે, ઓમીક્રોન વેરીઅન્ટની સમગ્ર ગુજરાતમાં દહેશત ફેલાઈ છે. જેના પગલે રાજયનું આરોગ્ય તંત્ર સાબદુ બન્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર દ્વારા વિદેશથી આવતા લોકોના ટેસ્ટીંગ, સ્કેનીંગ, વિગેરે કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દુબઈ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી આવેલા ૧૭ જેટલા પ્રવાસી નાગરીકોના ટેસ્ટીંગ અને સ્કેનીંગ કરવામાં આવતા તમામના રીપોર્ટ નેગેટીવ આવેલ છે. જો કે, તકેદારીના ભાગ રૂપે આ તમામને ૧૪ દિવસ માટે કવોરોન્ટાઈન રહેવાની સુચના આપવામાં આવી છે. 

જિલ્લામાં નવી કોવિડ ગાઈડલાઇનના પાલન માટે વહિવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર સાબદું બન્યું છે. જાહેર સ્થળોએ લોકો માસ્ક પહેરી રાખે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખે તે માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવા માટે ઉમેદાવોર અને સમર્થકો બહોળી સંખ્યામાં ઉમટયા હોવાથી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે. 

જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરીમાં ઝડપ લાવવા માટે પણ તાકિદ કરાઈ હોવાનું જાણવા મળે છે. શંકાસ્પદ લક્ષણોવાળા લોકોને તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવી લેવા માટે તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.