સુરેન્દ્રનગર જિલ્લાના 13 ગામોમાં પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ
- ત્રીજી લહેર સામે બાથ ભીડવા રસીકરણ અભિયાનને તેજ બનાવાયું
- વઢવાણ, લખતર, પાટડી, ચુડા, ધ્રંગધ્રા અને સાયલા તાલુકના કેટલાક ગામો રસીકરણમાં અગ્રેસર
સમગ્ર દેશમાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી કોવિડ રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લામાં હાલ તમામ ગામોમાં કોવિડ વેકસીનેશન ચાલી રહયુ છે. અત્યાર સુધીમાં જીલ્લાના ૧૩ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ થયુ છે. જેમાં વઢવાણ તાલુકાના અધેલી, દેદાદરા, લટુડા, લખતર તાલુકાના કડુ., તલવણી, પાટડી તાલુકાના વીસાવડી, ઝેઝરી, ધ્રાંગધ્રા તાલુકાના હામપર અને માનસર, ચૂડા તાલુકાના સેજકપર અને જેપર, થાનગઢ તાલુકાના વેલાળા, સાયલા તાલુકાનાં પીપળીયા ગામોનો સમાવેશ થાય છે.
હજુ આજે જીલ્લાનાં ૨૦ ગામોની ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ થશે. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં દરેક તાલુકા સી.એચ.સી. અને પી.એચ.સી. ખાતે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી બુધવાર અને રવિવાર સિવાયના દિવસોમાં લોકોનાં સમયની અનુકુળતા મુજબ રસીકરણ કામગીરી ચાલુ જ છે. અને જીલ્લાના તમામ લોકોને ૧૦૦ ટકા રસીકરણની કામગીરી કરવામાં આવશે. લખતર તાલુકાના કડુ અને તલવણી ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ થઈ છે. કડુ ગામમાં કુલ ૧૪૬ ઘર છે. જેની કુલ વસ્તી ૭૪૯ની છે. જેમાં રસીકરણનો ૫૨૭નો ટાર્ગેટ હતો જે ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ૧૮ વર્ષથી વધુ ઉમરના ૫૩૦ લાભાર્થીઓનું વેકસીનેશન કરી કડુ ગામને ૧૦૦ ટકા રસીકરણયુકત બનાવવામાં આવ્યુ છે. એજ રીતે તલવણી ગામમાં કુલ ૫૨ ઘર છે. જેની કુલ વસ્તી ૨૬૮ ની છે. ૧૪૪ નો રસીકરણનો ટાર્ગેટ હતો. જેને પૂર્ણ કરવા ૧૮ વર્ષથી વધુ ઉમરના ૧૬૯ લાભાર્થીઓનું વેકસીનેશન કરી રસીકરણની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
જીલ્લાનાં આ ૧૩ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ થયુ
તાલુકો ગામ
વઢવાણઃ- અધેલી, દેદાદરા, લટુડા
લખતરઃ- કડુ અને તલવણી
પાટડીઃ- વીસાવડી અને ઝેઝરી
ધ્રાંગધ્રાઃ- હામપર અને માનસર
ચૂડાઃ- સેજકપર અને જેપર
થાનગઢઃ- વેલાળા
સાયલાઃ- પીપળીયા