યોગ્ય સમય આવશે ત્યારે નિવૃત્તિ લઇશ : યુવરાજસિંહ
સચિન તેંડુલકરની સલાહથી આત્મવિશ્વાસમાં વધારો થયો
૩૮ વર્ષીય યુવરાજે વર્ષ ૨૦૦૦માં આંતરરાષ્ટ્રીય કારકિર્દી આરંભી હતી
મુંબઇ, તા. ૨૫
આઇપીએલ-૧૨માં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં
મુંબઇ ઇન્ડિયન્સનો દેખાવ ભલે નિરાશાજનક રહ્યો હોય પરંતુ તેમની ટીમમાંથી રમી રહેલા યુવરાજસિંહે
૫૩ રનની ઇનિંગ્સ સાથે પ્રભાવ પાડયો હતો. આ મુકાબલા બાદ ૩૭ વર્ષીય યુવરાજે જણાવ્યું હતું કે, 'મુંબઇ
ઇન્ડિયન્સ ટીમમાં જોડાયા બાદ સચિન તેંડુલકર સાથે ચર્ચા કરવાથી મને ખૂબ જ ફાયદો થઇ રહ્યો
છે. સચિન તેંડુલકર ૩૭-૩૮-૩૯ વર્ષની ઉંમર દરમિયાન કઇ રીતે પોતાની રમતમાં બદલાવ લાવતો
હતો તેના અંગે હું ચર્ચા કરતો રહું છું. સચિન તેંડુલકરની સલાહથી આત્મવિશ્વાસમાં વધારો
થયો છે. '
વર્ષ ૨૦૦૦માં આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૃ
કરનારા યુવરાજસિંહે સ્પષ્ટ કર્યું હતું કે નિવૃત્તિ અંગે તે યોગ્ય સમયે નિર્ણય લેશે.
યુવરાજે જણાવ્યું હતું કે, 'મને જ્યારે યોગ્ય લાગશે ત્યારે જ હું નિવૃત્તિ જાહેર કરવાનો
છું. છેલ્લા બે વર્ષ મારી કારકિર્દી માટે ઉતાર-ચઢાવભર્યા બની રહ્યા હતા અને મારે શું
કરવું જોઇએ તેના અંગે નિર્ણય લઇ શકતો નહોતો. આત્મવિશ્લેષણ કરતા જણાયું કે હું હજુ પણ
રમતનો એવો જ લુત્ફ ઉઠાવી રહ્યો છું જેઓ અંડર-૧૬ના સમયે ઉઠાવતો હતો.અંડર-૧૬ વખતે પણ
હું ભારતીય ટીમમાં સ્થાન મળશે કે કેમ તે અંગે વિચારતો નહોતો અને હવે પણ હું તેના અંગે
વિચાર્યા વિના રમતનો આનંદ માણવામાં માનું છું. '
યુવરાજે ભારત માટે ૪૦ ટેસ્ટમાં ૧૯૦૦, ૩૦૪
વન-ડેમાં ૩૬.૫૫ની એવરેજથી ૮૭૧ અને ૫૮ ટ્વેન્ટી૨૦માં ૧૧૭૭ રન નોંધાવ્યા છે. આઇપીએલમાં
મુંબઇ ઇન્ડિયન્સ અગાઉ યુવરાજ કિંગ્સ ઇલેવન પંજાબ, દિલ્હી ડેરડેવિલ્સ, પૂણે વોરિયર્સ,
રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદારાબાદ માટે પણ રમી ચૂક્યો છે.
યુવરાજ-ઝહિર : અનોખો વિરોધાભાસ
યુવરાજસિંહ, ઝહિર ખાને કેન્યા સામે નૈરોબી ખાતે રમીને એકસાથે
જ વન-ડે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. હવે હાલ યુવરાજ સિંહ મુંબઇ ઇન્ડિયન્સ માટે
રમી રહ્યો છે જ્યારે આ જ ટીમમાં ઝહિર ખાન બોલિંગ કોચની ફરજ બજાવી રહ્યો છે.