Get The App

પિતા યોગરાજ સિંહ જેવી ભૂલ ફરી નહીં કરે યુવરાજ, બાળકોના ઉછેર વિશે કહી આ મોટી વાત

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
પિતા યોગરાજ સિંહ જેવી ભૂલ ફરી નહીં કરે યુવરાજ, બાળકોના ઉછેર વિશે કહી આ મોટી વાત 1 - image

Yuvraj Singh on parenting : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે તાજેતરમાં પિતા બનવાના અનુભવ અને પોતાના ઉછેર વિશે ખુલીને વાત કરી છે. યુવરાજે સ્પષ્ટ કર્યું છે કે તે તેના પિતા યોગરાજ સિંહની જેમ પોતાના બાળકો પર કોઈ પણ ક્ષેત્રમાં જવા માટે દબાણ નહીં કરે. યુવરાજે તેના પિતા સાથેના જટિલ સંબંધોને યાદ કરતા કહ્યું કે ક્રિકેટના કારણે તેમના પિતા-પુત્રના સંબંધોમાં એક અંતર આવી ગયું હતું. 

મેં અભિષેક શર્માને જિમમાં પોતા મારવાની સજા આપી હતી: યુવરાજ સિંહ

પોતાના મેન્ટરિંગ અનુભવ વિશે વાત કરતા યુવરાજે એક રમૂજી કિસ્સો શેર કર્યો હતો. તેણે જણાવ્યું કે જ્યારે ક્રિકેટર અભિષેક શર્મા ટ્રેનિંગમાં મોડો આવ્યો હતો, ત્યારે તેણે અભિષેક પાસે જિમમાં પોતા મરાવ્યા હતા. યુવરાજે કહ્યું, જો કોઈ મોડું આવે અથવા શિસ્તમાં ન હોય, તો તેને 50 રાઉન્ડ દોડાવવા કે 40 મિનિટ સજા આપવી જરૂરી નથી. મેં અભિષેક શર્મા પાસે જિમમાં પોતા મરાવ્યા હતા, ત્યારપછી તે ક્યારેય મોડો નથી પડ્યો. 

અમારા સમયમાં પિતાઓ ખૂબ દબાણ કરતાં, પણ હવે એવું ન કરવું જોઈએ: યુવરાજ સિંહ

યુવરાજે કહ્યું કે પિતા બનવું એ દુનિયાનો શ્રેષ્ઠ અનુભવ છે. તેણે ઉમેર્યું, "બાળકોએ બધું જ કરવું જોઈએ - રમતગમત હોય કે ભણતર. તેમને જે ગમે તે રમવા દેવા જોઈએ અને તેમાં સખત મહેનત કરવી જોઈએ. પિતા તરીકે આપણે એટલું જ દબાણ કરવું જોઈએ જેટલું જરૂરી હોય. અમારા સમયમાં પિતાઓ ખૂબ દબાણ કરતા હતા, જે મારા પિતાએ પણ કર્યું હતું."

કડક વલણના કારણે પિતા-પુત્રના સંબંધ બગડ્યા 

યોગરાજ સિંહે પણ અગાઉ એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે યુવરાજ પ્રત્યેનું તેમનું વલણ ખૂબ જ કડક હતું કારણ કે તેમની પોતાની ક્રિકેટ કારકિર્દીમાં અન્યાય થયો હોવાથી તેઓ કડવાશ અનુભવતા હતા. તેમણે કહ્યું હતું કે સોનું તો અગ્નિમાં તપ્યા પછી જ બને છે. જોકે, યુવરાજનું માનવું છે કે જ્યારે તેના પિતાએ કોચિંગ શરૂ કર્યું ત્યારે પિતા-પુત્રનો સંબંધ પૂરો થઈ ગયો અને માત્ર કોચ-શિષ્યનો સંબંધ રહી ગયો હતો, જે તેના માટે દુઃખદ હતું. યુવી હવે આ ભૂલ પોતાના બાળકો સાથે કરવા માંગતો નથી.