બુમરાહનું વારંવાર ઈજાગ્રસ્ત થવાનું કારણ જણાવ્યું યોગરાજ સિંહે, BCCIને પણ કરી અપીલ
Yograj Singh on Jasprit Bumrah: ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સિરીઝની પહેલી મેચ 20 જૂને રમાશે. આ વખતે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ શુભમન ગિલ કરી રહ્યો છે, જોકે પહેલા BCCI ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવા માગતું હતું. પરંતુ બુમરાહે પોતાની ફિટનેસના કારણે કેપ્ટનશીપ કરવાનો ઇનકાર કરી દીધો જેથી શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો. એવામાં ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહનું એક અવલોકન સામે આવ્યું છે કે, બુમરાહ વારંવાર ઈજાગ્રસ્ત કેમ થાય છે?
યોગરાજ સિંહે બુમરાહનું વારંવાર ઈજાગ્રસ્ત થવાનું કારણ જણાવ્યું
એક ઇન્ટરવ્યૂ દરમિયાન યોગરાજ સિંહે ખેલાડીઓનું વારંવાર ઈજાગ્રસ્ત થવાનું કારણ જણાવતા કહ્યું કે, 'બુમરાહ અને અન્ય ક્રિકેટરોનું વારંવાર ઈજાગ્રસ્ત થવાનું કારણ જીમ છે. શમી અને હાર્દિક, તમારે તો બોડીબિલ્ડિંગની જરૂર જ નથી. જૂના સમયમાં, મોટા બોલરો ખૂબ જ લચીલા શરીર ધરાવતા હતા, આ સિવાય, વિવ રિચાર્ડ્સ પણ 35 વર્ષ સુધી કોઈ જીમમાં ગયો ન હતો. આથી મને લાગે છે કે ક્રિકેટરોએ 35-36 વર્ષની ઉંમર પછી જ જીમમાં જવું જોઈએ, કારણ કે તમારી તાકાત 36-37 વર્ષ પછી શરૂ થાય છે.'
યોગરાજ સિંહે વધુમાં કહ્યું કે, 'નાની ઉંમરે તમે જીમમાં જાઓ છો, તેથી જ વધુ ઈજાઓ થાય છે. જયારે જૂના સમયમાં ખેલાડીઓ જીમ જતા નહીં એટલે તેમને નહિવત્ ઈજાઓ થતી હતી. ક્રિકેટમાં તમને લચીલા શરીરની જરૂર હોય છે.'
યોગરાજ સિંહે BCCI ને પણ કરી વિનંતી
યોગરાજ સિંહે BCCI ને પણ વિનંતી કરતા કહ્યું કે, 'કૃપા કરીને ભગવાન ખાતર ક્રિકેટરોને જીમમાં ન મોકલો. કારણ કે હું માનું છું કે ક્રિકેટરોનું વધુ જીમમાં જવાના કારણે તેમને ઈજા થવાનો ખતરો વધી જાય છે, આથી તેમને જીમમાં ન મોકશો નહીં.'
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બુમરાહ થયો હતો ઘાયલ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો. સિડની ટેસ્ટ દરમિયાન બુમરાહને પીઠમાં ખેંચાણની સમસ્યા થઈ હતી, જેના કારણે તેને મેચ અધવચ્ચે છોડીને હોસ્પિટલ જવું પડ્યું હતું. આ પછી, બીજી ઇનિંગ્સમાં બુમરાહે બોલિંગ પણ કરી ન હતી. તેમજ ઈજાના કારણે બુમરાહ IPL 2025 ની શરૂઆતની અમુક મેચ પણ રમી શક્યો ન હતો હવે જોવાનું રહેશે કે ઇંગ્લેન્ડ સામેની સિરીઝની કેટલી મેચ બુમરાહ રમશે?