રોહિત શર્માની જગ્યાએ ઈંગ્લેન્ડના પ્રવાસે કયા ખેલાડીઓને મળશે ચાન્સ? રેસમાં આ નામ સૌથી આગળ
Names For Rohit Sharma Replacement: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હવે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે નવા કેપ્ટનની પસંદગી કરવામાં આવશે. પરંતુ પસંદગીકારો માટે તેનાથી પણ મોટી માથાનો દુ:ખાવો રોહિત શર્માનો વિકલ્પ શોધવાનો છે. ત્યારે ચાલો જોઈએ કે ઈંગ્લેન્ડ પ્રવાસ પર રોહિતનું સ્થાન કયા ખેલાડીઓ લઈ શકે છે.
આ યુવા ખેલાડીનું નામ આગળ
હિટમેન રોહિત શર્માએ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિત છેલ્લા કેટલાક સમયથી ફોર્મમાં ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પસંદગીકારોએ રોહિતને સ્પષ્ટતા આપી ન હતી કે તેને ઈગ્લેન્ડ પ્રવાસ પર તક આપવામાં આવશે કે નહીં.
24 વર્ષીય ધ્રુવ જુરેલ વિકેટકીપર અને બેટર અગાઉ રોહિત શર્માના સ્થાને પણ રમી ચૂક્યો છે. રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં રમી રહ્યો ન હતો. તે તેના બીજા બાળકના જન્મ માટે ઘરે જ રહ્યો. ત્યારે ધ્રુવ જુરેલને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું. તે છઠ્ઠા નંબરે બેટર તરીકે રમ્યો, પરંતુ બેટથી કંઈ ખાસ કરી શક્યો નહીં.
33 વર્ષીય કરુણ નાયરે તેની છેલ્લી ટેસ્ટ 2017માં રમી હતી. જો કે, છેલ્લા કેટલાક સમયથી તે જે ફોર્મમાં છે તેને જોતાં તેમને ઈંગ્લેન્ડ પ્રવાસ પર રોહિતના સ્થાને પણ લઈ શકાય છે. નોંધનીય છે કે, વર્ષ 2016-17માં કરુણે ચેન્નાઈ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ત્રેવડી સદી ફટકારી હતી.
IPLમાં, યુવાનો સામાન્ય રીતે તેમની વિસ્ફોટક બેટિંગથી પોતાની છાપ છોડી દે છે. પરંતુ એક એવો બેટર છે જેણે પોતાની દમદાર બેટિંગ, ટેકનિક અને સ્વભાવથી પોતાનું નામ બનાવ્યું છે. આ બેટરનું નામ 23 વર્ષીય સાઈ સુદર્શન છે. સાઈ સુદર્શન તમિલનાડુના ડાબા હાથના બેટર છે. તેમને ઇંગ્લેન્ડમાં કાઉન્ટી રમવાનો પણ અનુભવ છે.
27 વર્ષીય સરફરાઝ ખાન ઘણાં સમયથી ભારતીય ટીમનો ભાગ છે. તેણે ન્યુઝીલેન્ડ સામે પોતાનો બોલ્ડ સ્ટ્રોકપ્લેનું પ્રદર્શન કર્યું હતું. તેણે 2024માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ટીમનો નિયમિત સભ્ય બનવા માટે ઉત્સુક છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેને કોઈ મેચ રમવાની તક મળી ન હતી. હવે તે ઇંગ્લેન્ડ પ્રવાસ પર રોહિતનું સ્થાન લઈ શકે છે.