Virat-Anushka Meet Premanand Maharaj: ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એક વાર સંત પ્રેમાનંદ મહારાજની શરણે પહોંચ્યા છે. આ સ્ટાર કપલ આજે પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે વૃંદાવન પહોંચ્યુ હતું. જ્યાં તેમણે ખૂબ જ સાદગીથી ભક્તોની વચ્ચે જમીન પર બેસીને પ્રેમાનંદ મહારાજનો સત્સંગ સાંભળ્યો. આ દરમિયાન તેઓ ભક્તિમાં લીન હતા.
ફરી વૃંદાવન પહોંચ્યા વિરાટ કોહલી અને અનુષ્કા
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે અને તેમના આશીર્વાદ લેવા માટે મથુરાના વૃંદાવન પહોંચ્યા હતા. તેઓ સવારે લગભગ 5:30 વાગ્યે વૃંદાવનના કેલી કુંજ આશ્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે લગભગ એક કલાક વિતાવ્યો અને પ્રેમાનંદ મહારાજ સાથે વાત કરી હતી. આ દરમિયાન સ્ટાર કપલે ખૂબ જ ભક્તિ-ભાવથી અન્ય ભક્તો સાથે પ્રેમાનંદ મહારાજનો સત્સંગ સાંભળ્યો.
બીજી તરફ દર્શન કર્યા બાદ તેમની કાર કેલી કુંજ આશ્રમની બહાર ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ અને ચાહકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા. બ્લેક કારમાં પહોંચેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલા પણ ઘણી વખત પ્રેમાનંદ મહારાજજીના દર્શન કરવા માટે આવી ચૂક્યા છે.
કોહલી IPLમાં પોતાના ખિતાબને ડિફેન્ડ કરવા તૈયાર
રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલી ફેબ્રુઆરી 2026ના મધ્ય સુધીમાં લંડનમાં સમય વિતાવ્યા પછી ભારત (મુંબઈ) પરત ફર્યો હતો. હવે તે આગામી IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) તરફથી રમતો દેખાશે, જે આ વખતે તેના ખિતાબને ડિફેન્ડ કરવા માટે તૈયાર છે.
કોહલીએ તાજેતરમાં જ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સીરિઝમાં રમતા જોવા મળ્યો હતો. ત્યાં તેણે ત્રણ મેચમાં 80ની એવરેજ અને 105.26ના સ્ટ્રાઈક રેટથી 240 રન બનાવ્યા હતા.
અગાઉ પણ અનેક વખત આ સ્ટાર કપલે વૃંદાવનની મુલાકાત લીધી છે
ગત વર્ષ 2025માં વિરાટ અને અનુષ્કા ત્રણ વખત વૃંદાવનની મુલાકાતે ગયા હતા. જાન્યુઆરીની શરૂઆતમાં વિરાટ, અનુષ્કા અને તેમના બાળકો પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લેવા માટે વૃંદાવન ગયા હતા. મે મહિનામાં વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાના એક જ દિવસ પછી બંનેએ મહારાજજીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ ડિસેમ્બરમાં પણ વૃંદાવન પહોંચ્યા હતા. આ દરમિયાન વિરાટ અને અનુષ્કા ખૂબ જ ભાવુક અને ભક્તિભાવમાં લીન દેખાયા હતા.


