ભારતીય મહિલા ટીમ ચાર મહિનામાં પ્રથમ ટૂર્નામેન્ટ રમવા ઉતરશે મેદાનમાં, આજે બાંગ્લાદેશ સામે પ્રથમ T20
રેણુકા ઠાકુર અને રિચા ઘોષ ઈજા અને ફિટનેસના મુદ્દાઓને કારણે ટીમની બહાર છે
Image:Twitter |
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજથી મીરપુરમાં બાંગ્લાદેશ સામે શરૂ થનારી ત્રણ મેચની T20I સિરીઝમાં પોતાની રમતને વધુ સારી બનાવવા માટે નવા ચહેરાઓ અને 'ફિનિશર્સ' પાસેથી મળેલી તકોનો લાભ લેવાની આશા રાખશે. ચાર મહિનામાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ માટે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મહિલા ટીમ છેલ્લે દક્ષિણ આફ્રિકામાં T20 વર્લ્ડ કપમાં મેદાન પર દેખાઈ હતી, જ્યાં તેને નોકઆઉટ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ T20 સિરીઝ બાદ 16 જુલાઈથી ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે.
રેણુકા ઠાકુર અને રિચા ઘોષ ટીમની બહાર
ભારતીય ટીમનું પલડું ભારે લાગી રહ્યું છે. છેલ્લા 12 મહિનામાં ટીમ માટે શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર રેણુકા ઠાકુર અને વિકેટકીપર રિચા ઘોષ ઈજા અને ફિટનેસના મુદ્દાઓને કારણે ટીમની બહાર છે. તેમની ગેરહાજરી નવા ચહેરાઓને પ્રદર્શન દ્વારા ફેન્સને પ્રભાવિત કરવાની તક આપશે. ભારતીય મહિલા ટીમના સભ્યોને તેમની રમતમાં સુધારો કરવા માટે પુષ્કળ સમય મળ્યો હતો. જો કે, ભારતીય ખેલાડીઓ માટે છેલ્લી સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટ માર્ચમાં યોજાયેલી પ્રારંભિક મહિલા પ્રીમિયર લીગ હતી.
ભારતીય ટીમને આ પાસાઓમાં સુધારો કરવાની જરૂર
રિચાની ગેરહાજરીમાં દીપ્તિ શર્મા ફિનિશરની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા રાખવામાં આવશે. આ ઉપરાંત પૂજા વસ્ત્રકર અને અમનજોતે પણ ઇનિંગ્સના અંતે ઝડપથી રન બનાવીને યોગદાન આપવું પડશે. ભારતીય મહિલા ટીમ જો કે તમામ સુવિધાઓ હોવા છતાં તેની રમતને આગલા સ્તર પર લઈ જવામાં નિષ્ફળ રહી છે. ટીમને ફિટનેસ, બોલિંગ અને ફિનિશરની અછત સહિત અનેક પાસાઓમાં સુધારો કરવાની જરૂર છે.
શોર્ટ બોલ સામે મુશ્કેલી અનુભવે છે શેફાલી વર્મા
આ તમામ બાબતો રમતના ટૂંકા ફોર્મેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમમાં સામેલ થનારી આસામની પ્રથમ મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયા અને ઉમા છેત્રી ટીમમાં વિકેટ કીપિંગના બે વિકલ્પો છે. બાંગ્લાદેશની ટીમથી ભારતીય ખેલાડીઓને વધારે મુશ્કેલી ન થવી જોઈએ પરંતુ દબાણ ઓપનર શેફાલી વર્મા પર રહેશે, જેણે વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યા બાદથી શોર્ટ બોલ સામે સંઘર્ષ કર્યો છે.
આ બે ખેલાડી કરી શકે છે ડેબ્યુ
સ્પિનર્સ રાધા યાદવ અને રાજેશ્વરી ગાયકવાડની ગેરહાજરીના કારણે 20 વર્ષીય અનુષા બારેડ્ડી અને રાશિ કનોજિયાને ડેબ્યૂ કરી શકે છે. મોનિકા પટેલ અને મેઘના સિંઘ માટે વાપસી કરવા માટે આ સિરીઝ નિર્ણાયક બની રહેશે કારણ કે બંને છેલ્લી સિઝનમાં મોટાભાગે બહાર રહ્યા બાદ ટીમમાં પોતપોતાના સ્થાનને મજબૂત કરવા પર ધ્યાન આપશે.
બેંગલુરુમાં તાલીમ લીધા બાદ બાંગ્લાદેશ ગઈ ભારતીય ટીમ
ભારતની અંડર-19 ટીમને વર્લ્ડ કપ ખિતાબ માટે માર્ગદર્શન આપનાર નૌશીન અલ ખાદીરને વચગાળાના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખેલાડીઓએ બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં તાલીમ લીધી અને ત્યારબાદ તેઓ બાંગ્લાદેશ જવા રવાના થયા હતા. તમામ મેચ શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે.