ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ ભારતીય કેપ્ટને કહ્યું - હું ઈચ્છતી નહોતી કે મારો દેશ મને રડતી જૂએ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીમને 5 રને હારનો સામનો કરવો પડ્યો હતો
તેણે પોતાની નારાજગી પોતાના નસીબ પર વ્યક્ત કરી હતી
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ICC મહિલા T20 વર્લ્ડકપના સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમને 5 રને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં હારનો સામનો કર્યા પછી હરમન પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશનમાં ચશ્મા પહેરીને પહોંચી હતી. તેણે પોતાની નારાજગી પોતાના નસીબ પર વ્યક્ત કરી હતી. તે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સમયે ખૂબ જ ભાવુક જોવા મળી હતી. આ દરમિયાન તે ચહેરા પર ગોગલ્સ પહેરીને આવી હતી. તેણે પોતાની ભાવના વ્યક્ત કરતા કહ્યું કે, હું નથી ઈચ્છતી કે મારો દેશ મને રડતા જૂએ, એટલા માટે મેં આ ગોગલ્સ પહેર્યા છે. સાથે તેમણે કહ્યું કે, અમે ટીમમાં સુધારો કરીશું અને આ રીતે આપણાં દેશને ઝૂકવા નહીં દઈએ.
મને એવી આશા નહોતી કે હારી જશું
ભારતીય ટીમના કેપ્ટન તરીકે હું સૌથી વધારે દુર્ભાગ્યવશ રહી એવું અનુભવ કરી રહી છું. જેમિમાહ રોડ્રિંગ્સ સાથે અમે મેચમાં મુમેન્ટમ ફરીથી મેળવી લીધો હતો. છતાં અમે હારી ગયા, આવી આશા નહોતી. તેણે આગળ કહ્યું કે, હું રન આઉટ થઈ એનાથી વધારે ખરાબ નસીબ ન હોઈ શકે. શરુઆતમાં બે વિકેટો ગુમાવી દીધા બાદ અમને ખબર હતી કે અમારી પાસે સારી બેટિંગ લાઈન અપ છે. આના માટે મારે જેમિમાહને શ્રેય આપવો જોઈએ કારણ કે મેચમાં તેણે જ મુમેન્ટમ અપાવી હતી.
ભારતની નબળી ફિલ્ડિંગ હારનું કારણ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની નબળી ફિલ્ડિંગ ચર્ચાનો વિષય બની હતી. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 167 રન બનાવી શકી હતી.