Sports

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ

By GS TEAM
24 Aug 20251 min read
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ

પુજારાએ 13 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં 103 ટેસ્ટમાં 7195 રન નોંધાવ્યા હતા

સૌરાષ્ટ્રના દિગ્ગજ બેટ્સમેનની સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ : પુજારા છેલ્લે WTC-૨૦૨૩ની ફાઈનલમાં રમ્યો હતો 

રાજકોટ: ભારતના દિગ્ગજ બેટ્સમેન અને સૌરાષ્ટ્રના સુપરસ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય પીચ પર ટકીને મોટી ઈનિંગ રમવા માટે જાણીતા ૩૭ વર્ષના  પુજારાએ ૧૩ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૧૦૩  ટેસ્ટમાં ૪૩.૬૦ની સરેરાશથી કુલ ૭૧૯૫ રન નોંધાવવાની સાથે વિક્રમોની હારમાળા સર્જી હતી. તેણે ટેસ્ટમાં ૧૯ સદી અને ૩૫ અડધી સદી પણ નોંધાવી હતી. 

ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ બેટ્સમેન તરીકેની ઓળખ ધરાવતા પુજારાએ સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ લખીને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. 

ઘરઆંગણાના ક્રિકેટમાં પણ રનના ઢગલા ખડકનારા પુજારાની નિવૃત્તિની અપેક્ષા ભારતીય ક્રિકેટ ચાહકોને હતી. તે છેલ્લે ૨૦૨૩ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમ્યો હતો, અને ત્યાર બાદ પસંદગીકારોએ યુવા ખેલાડીઓ તરફ વધુ ધ્યાન આપતાં તેને તક મળી નહતી. 

પુજારાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં નિવૃત્તિ જાહેર કરતાં તેનું સમર્થન કરનારા તમામનો આભાર માન્યો હતો અને એમ પણ લખ્યું હતુ કે, દરેક સારી બાબતનો એક અંત હોય છે. છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ એક્સપર્ટ તરીકેની જવાબદારી સંભાળી રહેલો પુજારા તે જ દિશામાં કારકિર્દીને આગળ ધપાવશે તેમ મનાય છે.