T20 World Cup: ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં વેસ્ટઈન્ડિઝની ઝળહળતી જીતે ભારતીય ટીમની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો કરી દીધો છે. સાઉથ આફ્રિકા સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા હજુ આઘાતમાંથી બહાર આવે તે પહેલા જ વેસ્ટઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 107 રને હરાવીને પોતાનો નેટ રન રેટ (NRR) +5ને પાર પહોંચાડી દીધો છે. આ સાથે જ વેસ્ટઈન્ડિઝ ગ્રુપમાં ટોપ પર પહોંચી ગયું છે અને ભારત માટે સેમીફાઈનલની ડગર અત્યંત કપરી બની ગઈ છે.
નેટ રન રેટની માયાજાળમાં ફસાયું ભારત
સાઉથ આફ્રિકા સામેની કારમી હાર બાદ ભારતનો નેટ રન રેટ -3 સુધી ગગડી ગયો છે. હવે સ્થિતિ એવી છે કે જો ભારત તેના બાકીના બંને મેચ (ઝિમ્બાબ્વે અને વેસ્ટઈન્ડિઝ સામે) જીતી પણ લે, તો પણ નેટ રન રેટમાં વેસ્ટઈન્ડિઝ કે સાઉથ આફ્રિકાને પછાડવું ટેકનિકલી અશક્ય જેવું લાગે છે. જો ભારત, વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા ત્રણેય ટીમો બબ્બે મેચ જીતે, તો રન રેટના આધારે ભારત સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ શકે છે.
ભારત પાસે હવે કયા વિકલ્પો બચ્યા છે?
ભારત માટે સેમીફાઈનલમાં પહોંચવા માટે મુખ્યત્વે બે રસ્તાઓ છે, પરંતુ બંનેમાં અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે
પ્રથમ રસ્તો (સૌથી સુરક્ષિત): ભારત પોતાના બંને મેચ જીતે અને સાથોસાથ એવી પ્રાર્થના કરે કે સાઉથ આફ્રિકાની ટીમ વેસ્ટઈન્ડિઝને હરાવી દે. જો ગુરુવારે સાઉથ આફ્રિકા જીતશે તો ભારત માટે રસ્તો થોડો સાફ થશે. ખાસ વાત એ છે કે આ મેચ ભારત-ઝિમ્બાબ્વે મેચ પહેલા જ ખતમ થઈ જશે, એટલે ભારત જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હશે.
બીજો રસ્તો (થોડો અઘરો): જો વેસ્ટઈન્ડિઝ સાઉથ આફ્રિકાને હરાવી દે, તો ભારતે આશા રાખવી પડશે કે ઝિમ્બાબ્વેની ટીમ સાઉથ આફ્રિકાને હરાવે. આ સંજોગોમાં આફ્રિકા પાસે માત્ર 2 પોઈન્ટ રહેશે અને ભારત 4 પોઈન્ટ સાથે વેસ્ટઈન્ડિઝની સાથે સેમીફાઈનલમાં ક્વોલિફાઈ કરી શકશે.
હાલના તબક્કે સેમીફાઈનલનું ગણિત અત્યંત ગૂંચવાયું છે. ભારતે માત્ર જીતવાથી સંતોષ માનવો પડશે નહીં, પરંતુ રન રેટ સુધારવા માટે મોટી જીત પણ મેળવવી પડશે અથવા તો કુદરતના કરિશ્મા અને સાઉથ આફ્રિકાની હાર કે જીત પર નિર્ભર રહેવું પડશે.


