T20 World Cup: ટી20 વર્લ્ડ કપ વચ્ચે સૂર્યકુમાર યાદવ સામે મોટી પરેશાની આવીને ઊભી છે. પાછલી મેચમાં હીરો રહેલા ખેલાડી સિરાજને આવનાર મેચમાં બહાર બેસવું પડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બીજી તરફ સ્ટાર ઓપનર અભિષેક શર્માની તબિયત ખરાબ થઈ ગઈ છે. જણાવી દઈએ કે જસપ્રીત બૂમરાહ સ્વાસ્થ્ય બગડતા પહેલાથી જ ટુર્નામેન્ટની બહાર છે.
અભિષેક ફિલ્ડિંગ માટે ન ઉતરતા અનેક તર્ક વિતર્ક
ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત શાનદાર જીત સાથે કરી છે. પહેલી મેચમાં ટીમે અમેરિકાને 29 રને હરાવ્યું છે. જો કે સૂર્ય કુમાર યાદવને છોડી અન્ય કોઈ પણ બેટર ખાસ પ્રદર્શન આપી શક્યો ન હતો. અભિષેક શર્મા અને શિવમ દુબે તો ગોલ્ડન ડકના શિકાર થયા હતા. અભિષેક તે બાદ ફિલ્ડિંગ કરવા પણ ઉતર્યો ન હતો. બાદમાં સૂર્યકુમારે કહ્યું હતું કે સંપૂર્ણ રીતે ઠીક નથી.
અભિષેકનું પેટ ખરાબ
સૂર્યકુમારે જણાવ્યું કે વાતાવરણને કારણે જસપ્રીત બૂમરાહને તાવ ચઢ્યો હતો. અભિષેકને પણ ઠીક ન હતું, પરંતુ બીજી તરફ મોહમ્મદ સિરાજે કન્ફર્મ કર્યું હતું કે અભિષેકનું માત્ર પેટ ખરાબ હતું. એટલે તે ફિલ્ડિંગ કરવા આવ્યો ન હતો, ખેલાડીઓએ આશા વ્યક્ત કરી હતી કે અભિષેક શર્મા આગળની મેચ પહેલા સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે.
બૂમરાહ પરત ફરશે તેવા સંકેત
સૂર્યકુમાર યાદવે એ પણ કન્ફર્મ કર્યું છે કે આવનાર મેચમાં વોશિંગ્ટન સુંદર દિલ્હીમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. જણાવી દઈએ કે ભારતની આગળની મેચ ગુરુવારે 12 ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં છે. જે નામીબિયા સામે રમશે. જેમાં જસપ્રીત બૂમરાહ પરત ફરશે તેવા પૂરેપૂરા સંકેત છે.
કોણ થશે બહાર?
જસપ્રીત બૂમરાહ વાયરલ તાવ આવતા ટી20 વર્લ્ડ કપની પહેલી મેચ રમી શક્યો ન હતો. તે કારણે અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યા હતા. સિરાજે ટુર્નામેન્ટ શરૂ થવાના 24 કલાક પહેલા જ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મારી હતી. તે હર્ષિત રાણાના બદલે ટીમમાં આવ્યો છે. મોહમ્મદ સિરાજે પહેલી મેચમાં ધમાકેદાર બોલિંગ કરી અમેરિકાની ત્રણ વિકેટો ચટકાવી હતી. પાવરપ્લેમાં જ 2 વિકેટ ઝડપી સારી શરૂઆત કરી હતી. જો બૂમરાહ આગળની મેચ રમે તો સારું પ્રદર્શન છતાં પણ સિરાજને બેસવાનો વારો આવી શકે છે.


