T20 World Cup 2026 : ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026નો પ્રવાસ હવે સુપર-8 તરફ આગળ વધી રહ્યો છે. ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાએ અજેય રહીને પોતપોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવી આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. આ સિવાય સુપર-8ની અન્ય ચાર ટીમો ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન છે. સુપર-8 ટીમો નક્કી થતાની સાથે જ ટોપ-4 માટે નિષ્ણાતો ભવિષ્ય ભાખવા લાગ્યા છે.
મોન્ટી પનેસરની પસંદગી
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મોન્ટી પનેસરે ટોપ-4 ટીમો અંગે અનુમાન લગાવ્યું છે. તેમના મતે ઝિમ્બાબ્વેએ અત્યાર સુધી જે પ્રકારની રમત બતાવી છે, તે સેમીફાઈનલની પ્રબળ દાવેદાર છે. તેમણે ભારત, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાને ટોપ-4માં પહોંચનારી અન્ય ટીમો તરીકે પસંદ કરી છે.
ભારત: પનેસરે સૌથી પહેલા ભારતનું નામ લીધું, પરંતુ એક ચિંતા પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ભારતીય બેટ્સમેનો હાલમાં સ્પિનરો સામે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. જે આગામી મેચોમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
ઈંગ્લેન્ડ: પનેસરના મતે ઈંગ્લેન્ડ પાસે 'પાવર હાઉસ' બેટ્સમેનો છે જે તેમને ટોપ-4માં લઈ જશે.
શ્રીલંકા: યજમાન હોવાને નાતે અને ઓસ્ટ્રેલિયા સામેના શાનદાર રન ચેઝને કારણે શ્રીલંકા મજબૂત સ્થિતિમાં છે.
ઝિમ્બાબ્વે: પનેસરે ઝિમ્બાબ્વેને 'એક્સ ફેક્ટર' ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ઝિમ્બાબ્વેના ઊંચા બોલરોને પિચ પરથી સારો ઉછાળો (Bounce) મળી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ તેમનો આત્મવિશ્વાસ ઘણો ઊંચો છે.
સંજય માંજરેકરે કઈ ટીમો પસંદ કરી?
પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે પણ સેમીફાઈનલમાં પહોંચનારી ટીમોના નામ આપ્યા છે. ભારત ઉપરાંત તેમણે સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાને પ્રબળ દાવેદાર ગણાવ્યા છે. માંજરેકરનું માનવું છે કે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ શકે છે. જ્યારે પનેસરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલની ભવિષ્યવાણી કરી છે.


