T20 World Cup : સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ સુપર-8ના બીજા મુકાબલામાં ઝિમ્બાબ્વેને 72 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની આ ધમાકેદાર જીતે ઝિમ્બાબ્વેને T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર કરી દીધું છે. જ્યારે પોતાની સેમીફાઈનલમાં પહોંચવાની આશાઓ જીવંત રાખી છે.
ઝિમ્બાબ્વે સામે ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 256 રન ફટકાર્યા હતા. આ T20 વર્લ્ડ કપ 2026નો સૌથી મોટો અને ટુર્નામેન્ટના ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર છે. અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યાએ આ દરમિયાન અડધી સદી ફટકારી હતી. 257 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં માત્ર 184 રન જ બનાવી શકી હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે થશે 'વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ'
ઈન્ડિયા વર્સિસ ઝિમ્બાબ્વે મેચ પહેલા સુપર-8માં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ થઇ હતી. આ મેચમાં આફ્રિકન ટીમે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવીને ભારત માટે સેમીફાઈનલનો રસ્તો સરળ બનાવી દીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને સુપર-8માં 100 થી વધુ રને હરાવીને નેટ રન રેટમાં મોટો વધારો કર્યો હતો. બીજી તરફ સાઉથ આફ્રિકા સામે હારવાથી ટીમ ઈન્ડિયાના નેટ રન રેટને નુકસાન થયું હતું. જો વેસ્ટ ઈન્ડિઝે સાઉથ આફ્રિકાને હરાવ્યું હોત તો ભારત માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકત, કારણ કે ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ ઘણો ખરાબ હતો.
2-2 પોઇન્ટ્સ સાથે બંન્ને ટીમોની બરાબરી
ભારતની જીત બાદ સાઉથ આફ્રિકા સેમીફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. બીજી તરફ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ 2-2 પોઈન્ટ્સ સાથે અનુક્રમે ત્રીજા અને બીજા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝનો નેટ રન રેટ +1.791 છે, જ્યારે ભારતનો -0.100 છે. જોકે હવે ભારતને નેટ રન રેટની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંનેમાંથી કોઈ એક ટીમ મહત્તમ 4 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
સેમીફાઈનલનું સમીકરણ
તારીખ: 1 માર્ચના રોજ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સુપર-8ની મેચ રમાશે.
સ્થિતિ: આ મેચ એક રીતે 'વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ' હશે.
પરિણામ: જે ટીમ આ મેચ જીતશે તેને જ સેમીફાઈનલની ટિકિટ મળશે, જ્યારે હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.


