India Pakistan Match : આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી બહુપ્રતિક્ષિત મેચ હવે માત્ર ક્રિકેટ પૂરતી મર્યાદિત રહી નથી. આ મેચ રાજકીય નિર્ણયો, રાજદ્વારી દબાણો અને આર્થિક હિતોની જાળમાં ફસાયેલી હોય તેમ લાગે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા ભારત સામેની મેચના બહિષ્કારના નિર્ણય બાદ હવે એ સવાલ ઘેરો બની રહ્યો છે કે શું આ નિર્ણય કાયમી છે કે પછી પાકિસ્તાન પોતાની આદત મુજબ ફરીથી પલટી મારી દેશે.
પલટી મારવાનો પાકિસ્તાનનો ઇતિહાસ
પોતાની વાત પરથી ફરી જવાનો પાકિસ્તાનનો ઇતિહાસ ઘણો જૂનો રહ્યો છે. એશિયા કપમાં પણ પાકિસ્તાને ટુર્નામેન્ટના બહિષ્કારની ધમકી આપી હતી અને નાટક કર્યું હતું, પરંતુ અંતે પાકિસ્તાને આખી ટુર્નામેન્ટ રમી હતી. આવી સ્થિતિમાં સવાલ એ પણ થાય છે કે શું આ બહિષ્કાર પાછળ પણ પાકિસ્તાનનો કોઈ બદઈરાદો છે?
બાંગ્લાદેશની ચૂંટણી પર નિર્ભરતા
પીટીઆઈના રિપોર્ટ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, PCB ચેરમેન મોહસિન નકવી, જેઓ દેશના ગૃહમંત્રી પણ છે, તેઓ બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ બાદ પોતાના વલણમાં નરમાશ દર્શાવે તેવી શક્યતા છે. હાલમાં બાંગ્લાદેશ સરકારનું નેતૃત્વ મોહમ્મદ યુનુસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેમના હટ્યા બાદ સ્થિતિ બદલાઈ શકે છે. આ સંજોગોમાં નકવીના યુ-ટર્ન લેવાની અટકળો તેજ થઈ ગઈ છે.
નકવી લઈ શકે છે યુ-ટર્ન
એક સૂત્રએ જણાવ્યું હતું કે, "નકવી ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર કરતાં રાજકારણી વધુ છે. રાષ્ટ્રીય ટીમનું ભલું તેમની પ્રાથમિકતા હોય તેવું લાગતું નથી. આ નિર્ણય રાજકીય સંદેશ આપવા માટે જ લેવામાં આવ્યો છે અને ચૂંટણી પછી તેમાં ફેરફાર સંપૂર્ણપણે શક્ય છે." સૂત્રના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં ચૂંટણી પછી ભારત સામેની મેચ માટે બે દિવસનો સમય બચશે, જેમાં સંજોગો પલટાઈ શકે છે.
ICC ના એક્શનનો ડર
પાકિસ્તાનના આ વલણથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પણ અસહજ સ્થિતિમાં છે. ભારત-પાકિસ્તાન મુકાબલો ICC ઈવેન્ટ્સ માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. બ્રોડકાસ્ટિંગ અધિકારો, સ્પોન્સર્સ અને જાહેરાતો સાથે સંકળાયેલી જંગી રકમ આ એક મેચ પર નિર્ભર કરે છે. રિપોર્ટ્સ મુજબ, જો આ મેચ નહીં યોજાય તો ICCને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડી શકે છે.
પાકિસ્તાન પર થઇ શકે છે કડક કાર્યવાહી
ICC અગાઉ જ PCB ને ચેતવણી આપી ચૂક્યું છે કે, મેચના બહિષ્કારની સ્થિતિમાં તેણે ગંભીર નાણાકીય અને કાયદાકીય પરિણામો ભોગવવા પડી શકે છે. બ્રોડકાસ્ટર તરફથી કાયદાકીય કાર્યવાહી અને પાકિસ્તાનના વાર્ષિક રેવન્યુ હિસ્સા પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત, પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકલું-અટૂલું પડી જવાનું જોખમ પણ છે.
નકવી પણ આ સ્થિતિથી વાકેફ છે. તેમને ખબર છે કે જો ICC તેમની સામે કડક પગલાં લેશે તો તેમનું બોર્ડ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે અને તેઓ વિશ્વભરમાં એકલા પડી જશે. આવી સ્થિતિમાં શક્ય છે કે પાકિસ્તાન ફરી પોતાની જ વાત પરથી ફરી જાય.
આ પણ વાંચો : સોનું 2 લાખને પાર થશે! તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું બે દિવસમાં 300 ડૉલર વધ્યું


