IND vs PAK: આજે રવિવારે કોલંબોમાં ક્રિકેટ જગતનો સૌથી હાઈ વૉલ્ટેજ મહામુકાબલો થવા જઈ રહ્યો છે. ટી20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનની ટીમ સામ સામે ટકરાશે. ત્યારે એક નવો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ICC પુરુષ ટી20 વર્લ્ડ કપ 2026ની ભારત પાક મેચ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે પાકિસ્તાન સામે ભારતીય ટીમની 'નો હેંડશેક નીતિ' પર ખૂલીને સવાલો ઉઠાવ્યા છે. તેમણે મૂર્ખતાપૂર્ણ અને મોટા ક્રિકેટિંગ રાષ્ટ્ર માટે અશોભનીય ગણાવ્યું છે.
સંજય માંજરેકર ભડક્યા
સંજય માંજરેકરે પોતાના X પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'ભારતે હાથ ન મળવવાનો નિયમ જે શરૂ કર્યો છે તે ખૂબ જ મૂર્ખતાપૂર્ણ છે. આપણા જેવા દેશને તે શોભા આપતું નથી. ખેલ ભાવના પ્રમાણે કાં તો સાચી રીતે રમો અથવા તો રમશો જ નહીં.', માંજરેકરનું સાફ માનવું છે કે જો બંને ટીમો એક બીજા સામે મેદાનમાં ઉતરી રહી છે તો બંને ટીમોએ ખેલ પરંપરાઓનું સન્માન કરવું જોઈએ.
પાકિસ્તાન સાથે નો હેંડશેક નીતિ!
ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમે ગયા મહિનાઓમાં જ પાકિસ્તાન સાથે નો હેંડશેક નીતિ અપનાવી છે. જેને કારણે પુરુષ એશિયા કપ 2025માં મોટો હલ્લાબોલ થયો હતો. આ નિર્ણય જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂરના સમર્થનમાં લેવામાં આવેલો હતો. પાકિસ્તાન પ્રેરિત પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોનો જીવ ચાલ્યો ગયો હતો.
બંને ટીમોના કેપ્ટને શું કહ્યું?
ગઈકાલે શનિવારે પ્રેકિટસ સેશન દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બંને ટીમોના કેપ્ટનને હેંડશેક અંગે સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમારે કહ્યું હતું કે 24 કલાકની રાહ જુઓ અમે ક્રિકેટ રમવા આવ્યા છીએ, આ નિવેદન બાદ એ પણ સ્પષ્ટ થાય છે કે ભારતીય ટીમ પાકિસ્તાન સાથે હેંડશેક કરશે કે નહીં તે મેચપૂર્ણ થશે ત્યારે જ ખબર પડશે.
બીજી તરફ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ કહ્યું હતું કે, 'ક્રિકેટને સાચી ભાવનાની સાથે રમવું જોઈએ, તેમની ટીમ પારંપરિક હેંડશેક માટે તૈયાર છે. નિર્ણય તેમના (ભારત)ના હાથમાં છે'. બીજી તરફ એ પણ છે કે હમેંશાથી ભારત પાકિસ્તાનની મેચ એક બીજા દેશોના નાગરિકો, ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓની ભાવના સાથે પણ જોડાયેલી છે. તેવામાં જોવું રહેશે કે આ વખતે પરંપરા નિભાવવામાં આવશે કે પછી નો હેંડશેક નીતિ યથાવત રહેશે.


