Get The App

ઝિમ્બાબ્વે સામે ભવ્ય જીત બાદ પણ સૂર્યા દુઃખી, કહ્યું - હવે અમારી સામે કરો યા મરોની સ્થિતિ

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
ઝિમ્બાબ્વે સામે ભવ્ય જીત બાદ પણ સૂર્યા દુઃખી, કહ્યું - હવે અમારી સામે કરો યા મરોની સ્થિતિ 1 - image


Surya's Reaction After India vs Zimbabwe T20 WC 2026 Win : ટી-20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં ભારતે ઝિમ્બાબ્વેને 72 રને હરાવીને સેમીફાઈનલની રેસમાં દબદબો જાળવી રાખ્યો છે. ચેન્નાઈના મેદાન પર રનનો પહાડ ખડક્યા બાદ મળેલી આ ભવ્ય જીત છતાં કેપ્ટન સૂર્યકુમાર યાદવના ચહેરા પર એક અજંપો જોવા મળ્યો હતો. મેચ બાદ સૂર્યાએ સ્વીકાર્યું હતું કે જીત ચોક્કસ મળી છે, પરંતુ એક વાતની કસક હજુ મનમાં રહી ગઈ છે.

ચેન્નાઈમાં રનનો વિસ્ફોટ

ભારતે ઝિમ્બાબ્વે સામે નિર્ધારિત 20 ઓવરમાં 256/4 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો, જે વર્લ્ડ કપના ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર છે. અભિષેક શર્મા (55), હાર્દિક પંડ્યા (અણનમ 50) અને તિલક વર્મા (અણનમ 44) ની આક્રમક બેટિંગે ઝિમ્બાબ્વેના બોલરોને પાયમાલ કરી દીધા હતા. જોકે, આટલા મોટા સ્કોર સામે ઝિમ્બાબ્વેએ પણ લડત આપી અને 184 રન બનાવી લીધા, જે સૂર્યાની ચિંતાનું કારણ બન્યું છે.

કેપ્ટન સૂર્યાની 'કસક'

મેચ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે પ્રમાણિકપણે સ્વીકાર્યું કે, "જીત તો જીત છે, પણ સાચું કહું તો અમારા બોલરો હજુ થોડું સારું પ્રદર્શન કરી શક્યા હોત. અમે આટલો મોટો સ્કોર બનાવ્યો હોવા છતાં વિરોધી ટીમે 180થી વધુ રન કર્યા તે બાબતને અમે ગંભીરતાથી લઈશું અને આગળના મેચમાં તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરીશું."

ઝિમ્બાબ્વેના બેટર્સના કર્યા વખાણ

સૂર્યાએ ઝિમ્બાબ્વેના બેટર્સના, ખાસ કરીને બ્રાયન બેનેટ (અણનમ 97) ના મુક્તકંઠે વખાણ કર્યા. તેણે કહ્યું કે, પિચ બેટિંગ માટે સારી હતી પણ બેનેટ અને સિકંદર રઝાએ જે રીતે સ્માર્ટ બેટિંગ કરી તેનું શ્રેય તેમને મળવું જોઈએ.

વેસ્ટ ઈન્ડિઝ સામે હવે 'ફાઈનલ' જેવો જંગ

ભારતની આ જીતથી સાઉથ આફ્રિકા સેમીફાઈનલમાં પહોંચી ગયું છે અને ઝિમ્બાબ્વે બહાર થઈ ગયું છે. હવે 1 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જંગ જામશે. આ મેચ ક્વાર્ટર ફાઈનલ જેવી હશે, કારણ કે જે ટીમ જીતશે તેને સેમીફાઈનલની ટિકિટ મળશે. સૂર્યાએ કહ્યું કે, "કોલકાતામાં અમારે વધુ હિંમત બતાવવી પડશે અને પોઝિટિવ રહીને રમવું પડશે, કારણ કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી."