Suryakumar Yadav's Speech In Ahmedabad : T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેના ખરાબ ફૉર્મને લઈને ખુલીને વાત કરી છે. અમદાવાદમાં એક યુનિવર્સિટીના કાર્યક્રમ દરમિયાન સૂર્યકુમારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. ખેલાડીની કારકિર્દીમાં આવતા ઉતાર-ચઢાવ વિશે વાત કરતી વખતે સૂર્યકુમારે આત્મનિરીક્ષણનો અભિગમ અપનાવ્યો હતો. સૂર્યકુમાર યાદવની સ્પીચ વાઈરલ થઈ રહી છે.
અમદાવાદમાં સૂર્યકુમાર યાદવની સ્પીચ વાઈરલ
સૂર્યકુમારે કહ્યું કે, 'એક ખેલાડી હંમેશા સારા સમયમાં રહેતો નથી. હું એવુ નથી કહી રહ્યો કે, અમે ખરાબ સમયમાંથી પસાર થઈએ છીએ. આ એક શીખવાની પ્રક્રિયા છે. હંમેશા એવો તબક્કો આવે છે, જ્યારે તમને એવું લાગે છે કે તમે શીખવાના તબક્કામાં છો. તે મારા માટે પણ શીખવાનો તબક્કો રહ્યો છે. આમ થોડો ઉતાર-ચઢાવ રહ્યો છે.'
મારુ માનસિક વલણ હકારાત્મક છે: સૂર્યકુમાર યાદવ
ભારતીય કેપ્ટને કહ્યું કે, 'મારી પાસે હાલમાં 14 અન્ય ખેલાડીઓ છે જે મને કવર કરી રહ્યા છે. તેઓ જાણે છે કે જે દિવસે હું વિસ્ફોટ કરીશ તે દિવસે શું થશે. મને ખાતરી છે કે તમે બધા પણ તે જાણો છો. મારું માનસિક વલણ સંપૂર્ણપણે હકારાત્મક છે.'
તેણે વધુમાં કહ્યું કે, 'જો તમારે પરીક્ષા ઓછા માર્ક્સ આવે તો શું તમે સ્કૂલ છોડી દો છો? ના, તમે ફરીથી મહેનત કરો છો અને સારા નંબર લાવો છો. હું પણ એજ કોશિશ કરી રહ્યો છું. હું સારા પ્રદર્શન સાથે વાપસી કરવા માંગુ છું.'
સૂર્યકુમારની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમનો સંઘર્ષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. જમણા હાથના આ બેટરનું 2025નું વર્ષ નિરાશાજનક રહ્યું હતું. તેણે 19 ઇનિંગ્સમાં ફક્ત 218 રન બનાવ્યા, 13.62 ની સરેરાશ અને 123.16 ની સ્ટ્રાઇ રેટ રહી હતી. એશિયા કપમાં તેનો સર્વોચ્ચ સ્કોર 47 હતો. તેણે સાઉથ આફ્રિકા સામેની ઘરઆંગણેની સીરિઝમાં પણ સંઘર્ષ કર્યો. જેમાં ચાર ઇનિંગ્સમાં ફક્ત 34 રન બનાવ્યા, જોકે ભારતે તે સીરિઝ 3-1થી જીતી હતી.
આવતા મહિને ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20I સીરિઝમાં સૂર્યકુમાર યાદવને વધુ એક તક હશે, જ્યાં તે પોતાના શબ્દોને રનમાં રૂપાંતરિત કરીને ટીમ મેનેજમેન્ટના વિશ્વાસને સાચો સાબિત કરી શકશે.


