ખરાબ ફોર્મને કારણે સૂર્યકુમાર યાદવ સામે મોટી કાર્યવાહી, મુંબઈ રણજી ટીમમાંથી બાદબાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Suryakumar Yadav : ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ (સૂર્યા) હાલમાં તેના ખરાબ ફોર્મને કારણે મુશ્કેલીમાં મુકાયો છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ આગામી રણજી ટ્રોફી સિઝન માટે 42 વખતની ચેમ્પિયન મુંબઈ ટીમની જે જાહેરાત કરી છે, તેમાં સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું નથી. ફોર્મ અને ફિટનેસના કારણે સર્જાયેલી આ સ્થિતિએ ઘણા ક્રિકેટ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
સૂર્યાને બહાર રાખવાના બે મુખ્ય કારણો
10 ઓક્ટોબરના રોજ MCA દ્વારા 16 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૂર્યકુમારને બહાર રાખવા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે. એશિયા કપ 2025માં ભારતને ટ્રોફી જીતાડવા છતાં, બેટ્સમેન તરીકે સૂર્યાનું પ્રદર્શન સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન નિષ્ફળ રહ્યું હતું. 20 ઓક્ટોબરથી શરૂ થતાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા તેને આરામ આપવાનો નિર્ણય લેવાયો હોવાનું પણ માનવામાં આવે છે. જોકે, ઘણા નિષ્ણાતો માને છે કે ઓસ્ટ્રેલિયા સીરિઝ પહેલા સૂર્યાને મેચ પ્રેક્ટિસ મળી રહે તે માટે તેણે આ મેચ રમવી જોઈતી હતી.
આ પણ વાંચો: આઉટ નહોતો યશસ્વી? શુભમન ગિલની ભૂલના કારણે બેવડી સદી ચૂક્યો હોવાનો દાવો
શાર્દુલ ઠાકુર કેપ્ટન
મુંબઈની ટીમમાં આ વખતે કપ્તાનીમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગયા વર્ષે ટીમનું નેતૃત્વ કરનાર અજિંક્ય રહાણેએ કપ્તાની છોડી દીધી છે. MCA એ અનુભવી ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને મુંબઈ ટીમનો નવો કપ્તાન બનાવ્યો છે. રહાણે ટીમનો ભાગ બની રહેશે અને મધ્યક્રમમાં બેટિંગની જવાબદારી સંભાળશે. મુંબઈની ટીમ આગામી 15 ઓક્ટોબરથી રણજી ટ્રોફીની શરૂઆત જમ્મુ-કાશ્મીર સામેની મેચથી કરશે. ટીમમાં તાજેતરમાં શાનદાર ફોર્મમાં રહેલા શિવમ દુબેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.









