Get The App

કેપ્ટન્સી છીનવાઇ, ટીમમાંથી પણ પત્તું કપાયું... સૂર્યકુમારની EXITનું અજિત અગરકરે જણાવ્યું કારણ

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
Suryakumar Yadav dropped from team
(IMAGE - IANS)

Suryakumar Yadav dropped from team: આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સીરીઝની સાથે-સાથે એશિયન ગેમ્સ માટે આજે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ટીમોની કમાન સ્ટાર બેટર શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે, જ્યારે તિલક વર્માને ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમ સિલેક્શનમાં સૌથી મોટો ધમાકો 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને લઈને થયો છે, જેને પહેલીવાર સીનિયર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ, સૂર્યકુમાર યાદવ પાસેથી માત્ર T20ની કેપ્ટનશિપ જ નથી છીનવાઈ, પરંતુ તેને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે.

સૂર્યકુમારને કેપ્ટનશિપ પરથી કેમ હટાવ્યો? ચીફ સિલેક્ટર અજીત અગરકરે આપ્યો જવાબ

સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદ પરથી હટાવવાના આ મોટા નિર્ણય અંગે ચીફ સિલેક્ટર અજીત અગરકરે જણાવ્યું કે, 'છેલ્લા કેટલાક વર્ષોમાં અમે શ્રેયસની કેપ્ટનશિપને ખૂબ નજીકથી જોઈ છે. તેણે અલગ-અલગ ફ્રેન્ચાઇઝીનું સફળ નેતૃત્વ કર્યું છે. તાજેતરમાં જ તેણે પોતાની ટીમને ખિતાબ પણ અપાવ્યો છે અને વ્યક્તિગત રીતે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.'

આ અંગે અગરકરે વધુમાં કહ્યું કે, 'શ્રેયસ વર્લ્ડ કપ ટીમમાં સામેલ થવાની ખૂબ નજીક હતો અને મારી નજરમાં કેપ્ટનશિપ માટે તે સૌથી મજબૂત દાવેદાર હતો. જ્યાં સુધી સૂર્યકુમાર યાદવની વાત છે, આ નિર્ણય લેવો સરળ નહોતો. તેનું હાલનું ફોર્મ પણ આ નિર્ણય પાછળનું એક કારણ છે. આ સાથે જ અમે આગામી 2 વર્ષના રોડમેપ અને ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. અમને લાગ્યું કે આગળ વધવા માટે આ જ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે.'

કેપ્ટન તરીકે બેમિસાલ રહ્યો હતો સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ

સૂર્યકુમાર યાદવનો કેપ્ટન તરીકેનો રેકોર્ડ અદ્ભુત રહ્યો છે, છતાં તેને બહાર થવું પડ્યું છે. સૂર્યાના નેતૃત્વમાં ભારતે T20 ક્રિકેટમાં યાદગાર જીત નોંધાવી છે. તેમણે કુલ 52 T20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતની કપ્તાની કરી, જેમાંથી ટીમે 40 મેચમાં જીત મેળવી અને માત્ર 8 મેચ હારી હતી. જ્યારે 2 મેચ ટાઈ રહી હતી અને 2 મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું. સૂર્યાની કેપ્ટનશિપમાં ભારત એક પણ સીરીઝ હાર્યું નથી અને તેમના અંડર જ ભારતે એશિયા કપ 2025 તેમજ આ વર્ષનો T20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. કેપ્ટન તરીકે સૂર્યાની જીતની ટકાવારી 76.96% રહી હતી.

આ પણ વાંચો: આ ચાર કારણસર શ્રેયસ અય્યર બની શક્યો T20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, રેકોર્ડ પણ દમદાર

આગામી પ્રવાસો માટે ભારતીય સ્ક્વોડ

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની T20 ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઇશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.

એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, જસપ્રિત બુમરાહ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઇશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી અને વૈભવ સૂર્યવંશી.