Get The App

5 મેચમાં 50 રન પણ ન કર્યા, સ્ટાર ખેલાડીનું ટીમ ઈન્ડિયામાંથી પત્તું કપાશે, જાણો કેપ્ટન સૂર્યાનો જવાબ

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
5 મેચમાં 50 રન પણ ન કર્યા, સ્ટાર ખેલાડીનું ટીમ ઈન્ડિયામાંથી પત્તું કપાશે, જાણો કેપ્ટન સૂર્યાનો જવાબ 1 - image


India vs New Zealand 5th T20I: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી T20 મેચમાં યુવા ક્રિકેટ ઈશાન કિશને મેદાન પર એવું વાવાઝોડું ફૂંક્યું કે ન્યુઝીલેન્ડની આખી ટીમ જોતી રહી ગઈ. ઈજા બાદ શાનદાર વાપસી કરતા ઈશાન કિશને કીવી બોલરોને એવા ધોયા કે ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે તેનું નામ નોંધાઈ ગયું. ઈશાન કિશાનની સદી અને સૂર્યાની તોફાની ફિફ્ટીના દમ પર 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ભારતીય ટીમે 271 રન બનાવ્યા હતા. ભારતે ન્યૂઝીલેન્ડને 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 225 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ઈશાન કિશનને ન્યુઝીલેન્ડ સામેની T20I સીરિઝ અને T20 વર્લ્ડ કપ ટીમમાં બેકઅપ વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ કહેવાય છે ને કે નસીબ ક્યારે પલટાઈ જાય તે કોઈ જાણતું નથી. તિલક વર્માની ઈજાને કારણે કિશનનો પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેણે બંને હાથે આ તક ઝડપી લીધી.

ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરિઝમાં ઈશાન કિશને આક્રમક બેટિંગ કરીને માત્ર રન જ નહીં બનાવ્યા, પરંતુ હવે તેણે ટીમ મેનેજમેન્ટ માટે મોટો માથાનો દુ:ખાવો પણ ઉભો કરી દીધો છે.

ઈશાન કિશન શાનદાર ફોર્મમાં

કિશનના આ શાનદાર ફોર્મને કારણે ટીમ મેનેજમેન્ટ પણ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર ન કરવા અંગે વિચાર કરશે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે તિલક વર્માની વાપસી પછી કયા ખેલાડીનું પત્તુ કપાશે.

ટીમમાંથી સંજુ સેમસનનું પત્તું કપાઈ તેવી શક્યતા

ક્રિકેટ ગલિયારામાં આનો જવાબ સંજુ સેમસન ગણાવવામાં આવી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની T20 સીરિઝમાં સંજુ સેમસનનું પ્રદર્શન સારું નથી રહ્યું, તે પાંચ મેચમાં 50 રન પણ નથી બનાવી શક્યો. બીજી તરફ ટીમમાંથી સેમસનનું પત્તું કપાવાની  વાતને ત્યારે વેગ મળ્યો જ્યારે ઈશાન કિશને અંતિમ T20Iમાં સદી ફટકાર્યા બાદ વિકેટકીપિંગ પણ કરી.

કેપ્ટન સૂર્યાનો જવાબ

જોકે, મેચ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, શા માટે ઈશાન કિશનને પાંચમી T20માં વિકેટકીપિંગની તક આપવામાં આવી હતી. સૂર્યાએ ખુલાસો કર્યો કે સીરિઝ શરૂ થાય તે પહેલાં જ નક્કી થઈ ગયુ હતું કે, સંજુ પ્રથમ ત્રણ મેચમાં વિકેટકીપિંગ કરશે, જ્યારે ઇશાન કિશનને છેલ્લી બે મેચમાં તક આપવામાં આવશે. જોકે, પાંચમી T20 મેચ માટે ભારતીય ટીમની યાદીમાં સંજુ સેમસનના નામની બાજુમાં વિકેટકીપર લખેલું હતું.

સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તિલક વર્મા ઉપલબ્ધ ન હોવાના કારણે બંને કીપર પહેલા દિવસથી જ રમી રહ્યા હતા. અમે સીરિઝ પહેલા જ નક્કી કર્યું હતું કે, સંજુ ત્રણ મેચમાં વિકેટકીપિંગ કરશે અને ઇશાન બે મેચમાં. કમનસીબે ઈશાન ઈજાને કારણે છેલ્લી મેચ નહોતો રમી શક્યો, પરંતુ તેણે આજે વિકેટકીપિંગ કરવાની જ હતી.'

ઈશાનની બેટિંગ અંગે સૂર્યાએ કહ્યું કે, ટીમ કિશનની સ્કિલસેટથી વાકેફ હતી અને અમે નહોતા ઈચ્છતા કે તે તેની ગેમ બદલે, કારણ કે અમે તેને ગેમ-ચેન્જર તરીકે જોતા હતા.

આ પણ વાંચો: ભારતે પાંચમી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 46 રનથી હરાવ્યું, સીરિઝ 4-1થી પોતાના નામ કરી, ઈશાન-અર્શદીપ જીતના હીરો

ભારતીય કેપ્ટને કહ્યું કે, અમે હંમેશા જાણતા હતા કે, તે શું કરી શકે છે અને અમે તેને આ સીરિઝ પહેલા ઘરેલુ ક્રિકેટમાં તેની બેટિંગ જોઈ હતી. અમે ઈચ્છતા હતા કે, તે એવી જ રીતે બેટિંગ કરે અને તેની ઓળખ ન બદલે. તે ત્યાં ઓપનિંગ કરી રહ્યો હતો, અને અહીં તે ત્રીજા નંબર પર બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ અમે ઇચ્છતા હતા કે તે ગેમ-ચેન્જર બને, તેણે જે રીતે બેટિંગ કરી તેનાથી એક મજબૂત નિવેદન આપ્યું છે. મને તેની અને અભિષેક શર્મા સાથે બેટિંગ કરવામાં ખરેખર આનંદ આવ્યો. તેઓ બંને વિરોધી ટીમને ગેમ માંથી બહાર કરી દે છે.