સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન સંકટમાં, સન ટીવી વિવાદને લીધે IPL ટીમને ખતરો?
Sunrisers Hyderabad ownership dispute: IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદના CEO કાવ્યા મારનની મુશ્કેલીઓ વધી શકે છે. તેનું કારણ તેમના પરિવારમાં ચાલી રહેલો મોટો વિવાદ છે. કાવ્યાના પિતા અને દક્ષિણ ભારતની મોટી મીડિયા કંપની સન નેટવર્કના માલિક કલાનિધિ મારન પર મની લોન્ડરિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલો તેમના જ ભાઈ અને ભૂતપૂર્વ સાંસદ દયાનિધિ મારને ઉઠાવ્યો છે.
સન ટીવી વિવાદને લીધે IPL ટીમને ખતરો
અસલી વિવાદ સન નેટવર્કમાં શેરહોલ્ડિંગને લઈને છે. 2003 પહેલા મારન પરિવાર અને કરુણાનિધિ પરિવાર પાસે આ કંપનીમાં સમાન હિસ્સો હતો, પરંતુ 2003 પછી તેમાં ફેરફાર થયો. એવો આરોપ છે કે, કંપનીના ફંડનો દુરુપયોગ કરીને Sun Direct TV, Sun Pictures, FM ચેનલ અને અહીં સુધી કે, IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) જેવી કંપનીઓ ઊભી કરવામાં આવી.
હવે જો કોર્ટ નિર્ણય લે કે જૂનો શેર પેટર્ન (2003 વાળો) પુનઃસ્થાપિત થાય, તો સન નેટવર્કની માલિકીના હકમાં ફેરફાર થઈ શકે છે. તેની અસર IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ પર પણ પડી શકે છે.
BCCIએ હસ્તક્ષેપ કરીને નિર્ણય લેવો પડી શકે
આવી સ્થિતિમાં BCCIએ હસ્તક્ષેપ કરીને નિર્ણય લેવો પડી શકે છે અને એવું પણ બની શકે છે કે, સન ટીવીએ ટીમ વેચવી પડી શકે છે. જો આવું થાય તો IPLમાં દરેક મેચમાં જોવા મળતી કાવ્યા મારન આગામી વખતે ટીમની માલિક નહીં રહે. જો આ વિવાદ જલ્દી ઉકેલવામાં નહીં આવે તો તે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ અને તેના ચાહકો માટે ખરાબ સપનું બની શકે છે.
IPL 2025માં SRHનું પ્રદર્શન
IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. કુલ 14 IPL મેચોમાં સનરાઈઝર્સ હૈદરાબાદ 6 જીત, 7 હાર અને એક અનિર્ણિત મેચ સાથે છઠ્ઠા સ્થાને રહી હતું. કાવ્યા મારને આ સિઝન માટે હેનરિક ક્લાસેન (23 કરોડ), પેટ કમિન્સ (18 કરોડ), ટ્રેવિસ હેડ (14 કરોડ), અભિષેક શર્મા (14 કરોડ), નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ)ને રિટેન કર્યા હતા. પરંતુ 2023ની તુલનામાં આ ખેલાડીઓનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું.