પસ્તાવો છે પણ માફી નહીં માગુ... ટીમ ઈન્ડિયાને ઘૂંટણિયે લાવવાના નિવેદન મુદ્દે દ. આફ્રિકાના હેડ કોચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ind vs SA : ભારતીય ટીમ વિરુદ્ધની ટેસ્ટ શ્રેણી દરમિયાન સાઉથ આફ્રિકાના હેડ કોચ શુકરી કોનરાડે એક એવું નિવેદન આપ્યું હતું, જેના કારણે તેમની ભારે ટીકા થઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં કોનરાડે ભારત માટે 'ગ્રોવેલ' (Grovel) શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેનો અર્થ 'કોઈને ઘૂંટણિયે લાવવું' અથવા 'અપમાનજનક રીતે ઝૂકાવવું' થાય છે.
હેડ કોચને પસ્તાવો પણ..
હવે આ વિવાદાસ્પદ શબ્દના ઉપયોગ પર શુકરી કોનરાડે પોતે મૌન તોડ્યું છે. તેમને આ શબ્દ વાપરવાનો પસ્તાવો છે, પરંતુ તેઓ ભારતીય ટીમની માફી માંગવા માટે તૈયાર નથી. શનિવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી વનડે મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં શુકરી કોનરાડે આ વિવાદ પર પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે, ‘મારો ઇરાદો ક્યારેય કોઈની પ્રત્યે દુર્ભાવના રાખવાનો કે કોઈ પણ વાત પર ઘમંડી થવાનો નહોતો. વિચારતા મને લાગ્યું કે હું આનાથી વધુ સારો શબ્દ પસંદ કરી શક્યો હોત, કારણ કે આનાથી લોકોને પોતપોતાની રીતે તેનો અર્થ કાઢવાનો મોકો મળી ગયો.’
શું કહ્યું હતું કોનરાડે
કોનરાડે સ્પષ્ટતા કરી કે તેમનો અર્થ ફક્ત એટલો જ હતો કે "ભારત (મેદાન પર) વધુ સમય વિતાવે અને તેમના માટે વસ્તુઓ ખૂબ મુશ્કેલ બનાવી દે." નોંધનીય છે કે, 25 નવેમ્બરના રોજ, ગુવાહાટી ટેસ્ટની ચોથી સાંજે કોનરાડને પૂછવામાં આવ્યું હતું કે તેમની ટીમે 549 રનની લીડ લીધા પહેલા પાંચ કલાક અને ચાર મિનિટ સુધી બેટિંગ કેમ કરી?
આ સવાલના જવાબમાં કોનરાડે કહ્યું હતું કે, ‘અમે ઈચ્છતા હતા કે ભારતીય ખેલાડીઓ મેદાન પર વધુમાં વધુ સમય વિતાવે. અમે ઈચ્છતા હતા કે તેઓ ખરેખર પરેશાન થાય, જેમ કે એક કહેવત છે. તેમને રમતમાંથી સંપૂર્ણપણે બહાર કરી દો, અને પછી કહો કે આવો આજે સાંજ, છેલ્લો દિવસ અને એક કલાક સુધી ટકી રહો." જોકે, આ 48 શબ્દોના નિવેદનમાં વપરાયેલો એક શબ્દ 'ગ્રોવેલ' વિવાદનું કારણ બન્યો, કારણ કે આ શબ્દ ગુલામી, સંસ્થાનવાદ અને જાતિવાદ સાથે જોડાયેલો છે અને ક્રિકેટમાં અગાઉ 1976માં ટોની ગ્રેગે વાપર્યો ત્યારે પણ મોટો હોબાળો થયો હતો. કોનરાડે શનિવારે અંતમાં કહ્યું, "આ ખરેખર દુઃખની વાત છે. કદાચ આનાથી વનડે શ્રેણી વધુ મજેદાર બની હશે અને ખાસ કરીને જ્યારે ભારતે હવે તે શ્રેણી જીતી લીધી છે, તો T20 શ્રેણી વધુ રોમાંચક બની જશે.’









