'મહેનત કરતા રહો, ભલે કોઈ...', એશિયા કપની ટીમમાં સ્થાન ન મળતાં અય્યરનું દર્દ છલકાયું
Shreyas Iyer Interview: એશિયા કપ 2025 મંગળવારે (નવમી સપ્ટેમ્બર)થી શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ 10મી સપ્ટેમ્બરે સંયુક્ત આરબ અમીરાત (UAE) સામેની મેચથી તેના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેમી મેચ 14મી સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. એશિયા કપમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. શુભમન ગિલને ભારતીય ટીમનો ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે, એશિયા કપ માટે ટીમમાં પસંદગી ન થવા પર સ્ટાર બેટર શ્રેયસ ઐયરે મૌન તોડ્યું છે.
ભારતીય ટીમના બેટર શ્રેયસ ઐયરે શું કહ્યું....
એક મીડિયા ઈન્ટરવ્યુમાં શ્રેયસ ઐયરે ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવે ત્યારે તેમને આવતી માનસિક પડકારો વિશે પણ વાત કરી. આ દરમિયાન શ્રેયસનું દર્દ છલકાયું હતું. તેમણે કહ્યું કે, 'ખેલાડીએ સખત મહેનત કરતા રહેવું જોઈએ, ભલે કોઈ જુએ કે ન જુએ.'
આ પણ વાંચો: VIDEO: 5 ફોર અને 5 સિક્સર... પોલાર્ડની તોફાની બેટિંગ, 17 બોલમાં અડધી સદી ફટકારી
ટીમમાં ખેલાડીની મહેનત અંગે શ્રેયસ ઐયરે કહ્યું, 'જ્યારે ખેલાડીને લાગે છે કે તે ટીમમાં રમવાને લાયક છો અને ટીમમાં સ્થાન ન મળે ત્યારે તે નિરાશાજનક હોય છે. પરંતુ જો કોઈ બીજો ખેલાડી સતત સારું પ્રદર્શન કરી રહ્યો હોય અને ટીમ માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો હોય, તો તમારે તેને સપોર્ટ કરવો જોઈએ. કારણ કે, અંતિમ લક્ષ્ય ટીમની જીત છે. જ્યારે ટીમ જીતે છે, ત્યારે દરેક ખુશ થાય છે.'
શ્રેયસ ઐયર ઈન્ડિયા-એ ટીમનું નેતૃત્વ કરશે
ઓસ્ટ્રેલિયા-એ સામે બે મલ્ટી-ડે મેચોમાં શ્રેયસ ઐયર ઈન્ડિયા-એ ટીમનું નેતૃત્વ કરશે. આ બંને મેચ લખનઉમાં રમાશે. ઇન્ડિયા-એની ટીમમાં પ્રસિધ કૃષ્ણા, ખલીલ અહેમદ, ધ્રુવ જુરેલ, દેવદત્ત પડિકલ જેવા સ્ટાર ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. કે.એલ. રાહુલ અને મોહમ્મદ સિરાજ પણ બીજી મેચ માટે ઈન્ડિયા-એ ટીમમાં જોડાશે.
ઓસ્ટ્રેલિયા-એ અને ઈન્ડિયા-એ વચ્ચેની મેચનું શેડ્યૂલ
પહેલી 4-દિવસીય મેચ: 16મીથી 19મી સપ્ટેમ્બર સુધી લખનઉમાં રમાશે.
બીજી 4-દિવસીય મેચ: 23મીથી 26મી સપ્ટેમ્બર સુધી લખનઉમાં રમાશે.
પહેલી ODI: 30મી સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે.
બીજી ODI: ત્રીજી ઓક્ટોબર કાનપુરમાં રમાશે.
ત્રીજી ODI: પાંચમી ઓક્ટોબરે કાનપુરમાં રમાશે.