હવે કેવી છે શ્રેયસ અય્યરની તબિયત? સિડની હૉસ્પિટલમાંથી રજા મળી, BCCIએ આપી અપડેટ

Shreyas Iyer Health Update: ભારતીય ટીમના બેટર શ્રેયસ ઐયરને શનિવારે (પહેલી નવેમ્બર) સિડનીની હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ આ અંગે માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચમાં શ્રેયસ ઐયરને પાંસળીમાં ઈજા પહોંચી હતી. જેના કરાણે તેને ઇન્ટેન્સિવ કેર યુનિટ(ICU)માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ BCCIએ પુષ્ટિ આપી કે તે હવે સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(BCCI)એ શ્રેયસ ઐયર અંગે અપડેટ આપી છે. બોર્ડના જણાવ્યાનુસાર, શ્રેયસ ઐયરને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ તે હાલ સિડનીમાં જ રહેશે. શ્રેયસની તબિયત સારી થઈ રહી છે. આ ઉપરાંત BCCIએ શ્રેયસની સારવાર કરનારા ડૉક્ટરોનો આભાર માન્યો હતો.
કેચ બાદ તરત જ હૉસ્પિટલ ખસેડાયો હતો
ભારતીય ક્રિકેટ ટીમના ODI વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ(ODI) (26મી ઑક્ટોબર) મેચ દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા પહોંચી હતી. એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ડાબી પાંસળીમાં થયેલી આ ઈજાને કારણે આંતરિક રક્તસ્રાવ(Internal Bleeding) થતાં, તેને સિડનીની એક હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ(ICU)માં દાખલ કરવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, શ્રેયસ ઐયરને શનિવારે (26મી ઑક્ટોબર) મેચ દરમિયાન ડાબી પાંસળીમાં ઈજા થઈ હતી. એલેક્સ કેરીનો કેચ પકડ્યા બાદ તે પીડામાં હોવાનું જણાતા તેને તરત જ ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. BCCIની મેડિકલ ટીમે ડ્રેસિંગ રૂમમાં પ્રાથમિક તપાસ બાદ પરિસ્થિતિની ગંભીરતા જોતાં તાત્કાલિક કાર્યવાહી કરી અને ઐયરને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

