'શમી સંપૂર્ણપણે ફીટ, તે ટીમમાં હોવો જોઈએ....' સૌરવ ગાંગુલીએ ટીમ સિલેક્શન પર ઊઠાવ્યાં સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: IANS |
Mohammad Shami: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફરી એકવાર ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં રમતા જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગાંગુલીનું માનવું છે કે શમી સંપૂર્ણ રીતે ફિટ છે અને શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જોકે, ચીફ સિલેક્ટર અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ હાલમાં 35 વર્ષીય આ અનુભવી ફાસ્ટ બોલરને ફરી એન્ટ્રી આપે તેવું લાગતું નથી. શમીને દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ માટેની ટીમમાં જગ્યા મળી નથી. તેણે છેલ્લે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તરફથી મેચ રમી હતી.
મોહમ્મદ શમી પર ગાંગુલીનું નિવેદન
સૌરવ ગાંગુલીએ શમીના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે, "શમી અત્યારે બહુ શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તે ફિટ છે અને અમે જોયું કે તેણે રણજી ટ્રોફીની ત્રણ મેચોમાં બંગાળને એકલા હાથે જીતાડ્યું છે."
આ પણ વાંચોઃ અર્શદીપ અને કુલદીપ યાદવને પ્લેઈંગ 11 માં કેમ ચાન્સ ન મળ્યો? ગૌતમ ગંભીરે તોડ્યું મૌન
નોંધનીય છે કે, શમીએ આ સિઝનમાં રણજી ટ્રોફીની ત્રણ મેચોમાં 91 ઓવર ફેંકીને 15 વિકેટ ઝડપી છે, જોકે તે ત્રિપુરા સામે વિકેટલેસ રહ્યો હતો. શમીએ 2023 વર્લ્ડ કપ પછી પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી. જોકે, પરત ફર્યા બાદ તે ફરી પોતાના જૂના અંદાજમાં આવી ગયો છે.'
તે હજુ એ જ જૂનો શમી છેઃ ગાંગુલી
ગાંગુલીએ વધુમાં કહ્યું, 'મને ખાતરી છે કે, સિલેક્ટર્સ તેના પર નજર રાખી રહ્યા હશે અને તેમની વચ્ચે વાતચીત પણ હશે. જો ફિટનેસ અને કૌશલ્યની વાત કરીએ તો શમી એ જ જૂનો શમી છે. મને નથી લાગતું કે તે ટેસ્ટ, વન-ડે અને ટી20, ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ન રમી શકે તેવું કોઈ કારણ હોય."
આ પણ વાંચોઃ 'CSKમાં જશે તો પણ કેપ્ટન નહીં બની શકે સેમસન...', જાડેજા અંગે પણ અશ્વિનનો મોટો દાવો
ભારત પાસે હાલમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને આકાશ દીપ જેવા યુવા ફાસ્ટ બોલરો છે, પરંતુ ગાંગુલીનું માનવું છે કે શમી જેવા અનુભવી બોલરનો અનુભવ કોઈ પણ ફોર્મેટમાં અમૂલ્ય સાબિત થશે.
ધ્રુવ જુરેલને લઈને ગાંગુલીએ શું કહ્યું?
દક્ષિણ આફ્રિકા સામે શુક્રવારથી ઈડન ગાર્ડન્સમાં શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચોની સિરીઝ પર વાત કરતા ગાંગુલીએ યુવા વિકેટકીપર-બેટર ધ્રુવ જુરેલને લઈને પણ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ગાંગુલીએ કહ્યું કે, જુરેલને તેના બેટિંગ પ્રદર્શનના આધારે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું જોઈએ. જુરેલ માટે નંબર 3નું સ્થાન એક સારો વિકલ્પ હોઈ શકે છે, જ્યાં હાલમાં સાઈ સુદર્શન રમે છે.









