કોણ છે વિશ્વરાજ જાડેજા? સેમિફાઈનલ મેચમાં 165 રન ફટકારી બન્યો સૌરાષ્ટ્રની જીતનો હીરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - instagram.com/vishvaraj_19) |
Vijay Hazare Trophy: વિજય હઝારે ટ્રોફીની સેમિફાઈનલમાં પંજાબ સામે રમાયેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં સૌરાષ્ટ્રના ઓપનર વિશ્વરાજ જાડેજાએ ઐતિહાસિક ઇનિંગ રમીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી છે. 292 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમ માટે જાડેજાએ વન-મેન શૉ જેવું પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 127 બોલમાં 165 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં 18 ફોર અને 3 સિક્સરનો સમાવેશ થાય છે. 129થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે રમેલી આ ઇનિંગે પંજાબના બોલરોને લાચાર કરી દીધા હતા અને મેચને એકતરફી બનાવી દીધી હતી.
વિશ્વરાજે 9 મેચોમાં 500થી વધુ રન અને 3 સેન્ચુરી ફટકારી
મેચની શરૂઆતથી જ વિશ્વરાજ જાડેજા અને કેપ્ટન હાર્વિક દેસાઈ વચ્ચે 172 રનની મજબૂત ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. હાર્વિકના આઉટ થયા બાદ પણ જાડેજાએ પોતાની આક્રમકતા જાળવી રાખી હતી અને પ્રેરક માંકડ સાથે મળીને ટીમને જીત સુધી દોરી ગયો હતો. જોકે, જ્યારે તે 120 રન પર હતો ત્યારે તેને એક જીવનદાન મળ્યું હતું, જે પંજાબ માટે ભારે સાબિત થયું. આ તકનો પૂરો ફાયદો ઉઠાવતા વિશ્વરાજે વધુ આક્રમક બેટિંગ કરી હતી. આ સિઝનમાં વિશ્વરાજ જાડેજાનું ફોર્મ અત્યંત શાનદાર રહ્યું છે, જ્યાં તેણે 9 મેચોમાં 67ની સરેરાશથી 500થી વધુ રન અને 3 સેન્ચુરી ફટકારી છે.
આ પણ વાંચો: વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા, ભસ્મ આરતીમાં કુલદીપ યાદવ પણ જોડાયો
હવે સૌરાષ્ટ્રની ટીમ 2022-23 બાદ ફરી એકવાર ખિતાબ જીતવાના ઈરાદા સાથે ફાઇનલમાં પહોંચી છે. 18 જાન્યુઆરીના રોજ ફાઇનલ મુકાબલામાં સૌરાષ્ટ્રનો સામનો વિદર્ભ સામે થશે. અત્યારે જે રીતે વિશ્વરાજ જાડેજા ફોર્મમાં છે, તેને જોતા ચાહકોને આશા છે કે ફાઇનલમાં પણ તેઓ ફરી એકવાર મોટું પ્રદર્શન કરીને સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.








