Sanju Samson: સંજુ સેમસન ક્રિકેટની દુનિયામાં માત્ર તેના છગ્ગા માટે જ નહીં પરંતુ તેના ગ્રેસ અને શાંત સ્વભાવ માટે પણ જાણીતો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઘટના વાયુ વેગે વાયરલ થઈ રહી છે, જેનાથી ફરી એકવાર સાબિત થઈ ગયું કે, આ ખેલાડી ક્લાસ અને સાદગીનું અસલી ઉદાહરણ છે.
શોર વચ્ચે એક શાંત વાતચીત
મેદાન પર જ્યાં જીતનો જશ્ન ચરમસીમા પર હતો, ત્યારે હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહ અને શોર-શરાબા સાથે સેલિબ્રેટ કરી રહ્યા હતા. આ સમયે કેમેરા અને લાઈમલાઈટ આ જ સ્ટાર ખેલાડી પર હતી. પરંતુ આ વચ્ચે એક ખૂણામાં સંજુ સેમસન ખૂબ જ શાંત અંદાજમાં પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલે સાથે વાતચીત કરતો નજર આવ્યો.
દેખાડાથી દૂર રહે છે સંજુ સેમસન
આ ઘટના સંજુના વ્યક્તિત્વના એ પાસાને ઉજાગર કરે છે જેને ઘણીવાર લોકો મિસ કરી દે છે. જ્યારે અન્ય ખેલાડીઓ કેમેરા સામે જશ્ન મનાવી રહ્યા હતા, ત્યારે સંજુ બધાથી દૂર એક ખૂણામાં બેઠો હતો. ચાહકોને તેમનું આ ડાઉન ટૂ અર્થ વલણ ખૂબ પસંદ આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે સંજુને પોતાની યોગ્યતા સાબિત કરવા માટે કોઈ શોર મચાવવાની જરૂર નથી.
સંજુ માટે શાનદાર રહી ટૂર્નામેન્ટ
T20 વર્લ્ડ કપ 2026માં સંજુ સેમસને પોતાની બેટથી એવી તબાહી મચાવી કે, દુનિયા જોતી જ રહી ગઈ. આખી ટુર્નામેન્ટ દરમિયાન તેણે એક અનુભવી ખેલાડીની જેમ રમીને 5 ઈનિંગ્સમાં 80.25ની બેમિસાલ એવરેજથી 321 રન બનાવ્યા, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 199.37નો રહ્યો હતો. સંજુએ માત્ર ત્રણ અડધી સદી જ નહીં, પરંત 24 ગગનચુંબી છગ્ગા પણ ફટકારીને એક જ વર્લ્ડ કપ એડિશનમાં કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
તેમની સૌથી યાદગાર ઈનિંગ્સ નોકઆઉટ મેચોમાં આવી, જ્યાં તેણે ક્વાર્ટર ફાઈનલમાં વેસ્ટ ઈન્ડીઝ સામે અણનમ 97 રન, સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 89 રન અને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 89 રનની મેચવિનિંગ ઈનિંગ્સ સાથે ભારતની વર્લ્ડ કપ જીતમાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.


