Ind vs Pak T20 World Cup Match : ટી20 વર્લ્ડ કપ 2026ના સૌથી હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારત સામે 61 રને મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાનું દર્દ છલકાઈ ગયું છે. કોલંબોના મેદાન પર રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને ચારેય ખૂણે ચિત્ત કર્યું હતું. આ હાર બાદ પાકિસ્તાની કેપ્ટને હાર માટે કોઈ એક વિભાગને નહીં, પરંતુ સમગ્ર ટીમના પ્રદર્શન પર સવાલો ઉઠાવ્યા છે.
રવિવારે રમાયેલા મહામુકાબલામાં ભારતે પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાની ટીમ માત્ર 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે સુપર-8માં એન્ટ્રી કરી લીધી છે, જ્યારે પાકિસ્તાન માટે હવે 'કરો કે મરો' જેવી સ્થિતિ સર્જાઈ છે.
હારનું ઠીકરું ક્યાં ફોડ્યું?
1. સ્પિનરોનું નબળું પ્રદર્શન
સલમાન આગાએ હાર બાદ સૌથી પહેલો પ્રહાર ટીમના સ્પિનરો પર કર્યો હતો. તેણે કહ્યું, "અમારા સ્પિનરો માટે આજનો દિવસ સારો રહ્યો નથી. મેદાન પર અમારી યોજનાઓનું અમલીકરણ (Execution) યોગ્ય રીતે થયું નહીં. જોકે છેલ્લા છ મહિનામાં તેમણે સારું પ્રદર્શન કર્યું છે, પણ આજે મોટા મુકાબલામાં અમે ચૂકી ગયા."
2. ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય
ટોસ જીતીને બોલિંગ કરવાના નિર્ણયનો બચાવ કરતા કેપ્ટને કહ્યું, "પહેલી ઇનિંગમાં વિકેટ થોડી મુશ્કેલ હતી અને બોલ ગ્રીપ થતો હતો. અમને લાગ્યું કે બીજી ઇનિંગમાં બેટિંગ સરળ રહેશે, પણ અમે પરિસ્થિતિ મુજબ બોલિંગ કરી શક્યા નહીં."
3. પાવરપ્લેમાં વિકેટોનું પતન
બેટિંગ વિશે વાત કરતા સલમાન આગાએ સ્વીકાર્યું કે, "ટી20 ક્રિકેટમાં જો તમે પાવરપ્લેમાં જ 3-4 વિકેટ ગુમાવી દો છો, તો તમે આખી મેચમાં પાછળ રહી જાઓ છો. અમે પોતાને સેટ થવાનો કે મેચને ઊંડાણ સુધી લઈ જવાનો કોઈ મોકો જ આપ્યો નહીં."
કેપ્ટન સૂર્યાએ ઈશાન કિશનને ગણાવ્યો ટર્નિંગ પોઈન્ટ
બીજી તરફ, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ જીતનો શ્રેય ઈશાન કિશનને આપ્યો હતો. સૂર્યાએ કહ્યું, "0 રન પર 1 વિકેટ પડી ગયા બાદ કોઈએ જવાબદારી લેવાની હતી અને ઈશાન કિશને જે રીતે બેટિંગ કરી તે કમાલ હતી. આ વિકેટ પર 175 રનનો સ્કોર ઘણો સારો હતો. દરેક બોલરે પણ શાનદાર યોગદાન આપ્યું છે."
હવે પાકિસ્તાનનું શું થશે?
પાકિસ્તાન માટે હવે સુપર-8ની રાહ મુશ્કેલ બની છે. તેમણે હવે કોઈપણ સંજોગોમાં નામિબિયા સામે જીતવું જ પડશે. સલમાન આગાએ કહ્યું કે તેઓ આ હારને ભૂલીને આગળ વધવા માંગે છે અને આગામી મેચમાં નવી શરૂઆત કરવા ઈચ્છે છે.


