IND vs ENG: રિષભ પંતને પગમાં થઈ ઈજા, પહેલા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કોર 264/4
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચનો આજે(23 જુલાઈ) પહેલો દિવસ હતો. પહેલા દિવસની રમત પૂર્ણ થયા બાદ ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 264 રન બનાવી લીધા છે. ભારતીય ટીમ માટે યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શને અડધી સદી ફટકારી. જયસ્વાલે 58 અને સાઈ સુદર્શને 61 રનની ઈનિંગ રમી. કેએલ રાહુલે 46 રન બનાવ્યા. જ્યારે રિષભ પંત 37 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો. તેને પગમાં ઈજા થઈ. દિવસની રમત પૂર્ણ થયા બાદ રવીન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર 19-19 રન બનાવીને ક્રીઝ પર છે.
બેટિંગ કરતા સમયે રિષભ પંતને ઈજા, સારવાર માટે લઈ જવાયો
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટના પહેલા દિવસે જ ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. વિકેટકીપર બેટર રિષભ પંત ઈજાગ્રસ્ત થઈને મેદાનથી બહાર થઈ ગયો હતો. લોર્ડ્સ ટેસ્ટમાં આંગળી પર ઈજાના કારણે વિકેટકીપિંગ ન કરી શકનારા રિષભ પંતને મેનચેસ્ટર ટેસ્ટમાં ક્રિસ વોક્સને રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં ઈજા થઈ હતી. બોલ જૂતા પર અડી અને તેના પગમાં ઈજા થઈ. જેના કારણે તેમને ઉભા રહેવામાં તકલીફ થઈ રહી હતી. તેમને સ્ટ્રેચર વેનની મદદથી મેદાનની બહાર લઈ જવાયો હતો.
રિષભ પંતને 67મી ઓવરના ચોથા બોલ પર ઈજા થઈ હતી. પંતે ક્રિસ વોક્સને રિવર્સ સ્વીપ લગાવવાનો પ્રયાસ કર્યો. એલબીડબલ્યૂની અપીલ થઈ. અમ્પાયરે નોટ આઉટ આપ્યો. રિવ્યૂમાં જાણવા મળ્યું કે બોલ પંતના પગ પર લાગવાથી બેટ પર વાગી હતી. ત્યારબાદ પંતને ખૂબ પીડા થઈ. ફિઝિયો મેદાન પર આવ્યા. તેમને ડાબા પગની આંગળી પાસે ઈજા થઈ. લોહી પણ નીકળ્યું. જ્યાં ઈજા થઈ ત્યાં સોજો પણ જોવા મળ્યો. પંત એટલો દર્દમાં હતો કે તે ઉભા પણ નહોતો રહી શકતો. તેમને સ્ટ્રેચર વેનથી મેદાનથી બહાર લઈ જવાયો હતો.
રિષભ પંતનું સારૂં પ્રદર્શન
રિષભ પંત જ્યારે ઈજાગ્રસ્ત થયો ત્યારે તે 48 બોલ પર 37 રન બનાવીને ક્રીઝ પર હતો. તેમણે 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. ભારતનો સ્કોર 3 વિકેટ પર 212 રન પર હતો. પંત અને સાઈ સુદર્શન વચ્ચે 72 રનની ભાગીદારી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. પંત જ્યારે ક્રીઝ પર આવ્યો ત્યારે ભારતનો સ્કોર 3 વિકેટ પર 140 રન હતો.










