Get The App

T20 વર્લ્ડ કપ વચ્ચે જ સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ પર આભ તૂટ્યું: પિતા ખાનચંદનું કેન્સરને કારણે નિધન

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
T20 વર્લ્ડ કપ વચ્ચે જ સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ પર આભ તૂટ્યું: પિતા ખાનચંદનું કેન્સરને કારણે નિધન 1 - image


Rinku Singh Father Died : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફિનિશર રિંકુ સિંહ માટે એક અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. એકબાજુ રિંકુ ટી-20 વર્લ્ડ કપમાં દેશ માટે મેદાન પર પરસેવો પાડી રહ્યો છે, ત્યારે બીજી બાજુ તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ નિધન થયું છે.



લિવર કેન્સર સામે હારી ગયા જંગ

રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહ છેલ્લા કેટલાક સમયથી ચોથા સ્ટેજના લિવર કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની તબિયત વધુ લથડતા તેમને ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમને મિકેનિકલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને કિડની રિપ્લેસમેન્ટ થેરાપી પણ ચાલી રહી હતી, પરંતુ તમામ પ્રયત્નો છતાં ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા.

વર્લ્ડ કપ અને પિતાની માંદગી વચ્ચેની લડાઈ

રિંકુ સિંહ માટે આ સમય માનસિક રીતે ખૂબ જ પડકારજનક રહ્યો છે. સાઉથ આફ્રિકા સામેની હાર બાદ જ્યારે ભારતીય ટીમ ચેન્નાઈ પહોંચી ત્યારે પિતાની ગંભીર હાલતના સમાચાર મળતા જ રિંકુ તાત્કાલિક ટીમ છોડીને પિતા પાસે પહોંચ્યો હતો. જોકે, ઝિમ્બાબ્વે સામેના મહત્વના મેચ પહેલા તે ફરી ટીમ સાથે જોડાયો હતો, પરંતુ તેને પ્લેઈંગ-11 માં સ્થાન મળ્યું નહોતું. 26 ફેબ્રુઆરીએ ભારતે આ મેચ જીતી લીધો હતો, પરંતુ રિંકુ માટે આ જીતનો આનંદ પિતાના અવસાનના દુઃખમાં ફેરવાઈ ગયો છે.

ફરી ટીમ છોડશે રિંકુ સિંહ

પિતાના નિધનને પગલે રિંકુ સિંહ ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો સાથ છોડીને ઘરે પરત ફરશે. ભારતનો આગામી અને નિર્ણાયક મેચ 1 માર્ચે વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકાતામાં રમાવાનો છે. હવે જોવાનું એ રહેશે કે રિંકુ આ આઘાતમાંથી બહાર આવીને આ મહત્વના મેચ પહેલા ટીમ સાથે જોડાઈ શકે છે કે નહીં.