બેંગલુરુમાં RCBની વિક્ટરી પરેડ રદ, પોલીસે મંજૂરી ના આપી, જાણો હવે કેવી રીતે થશે ઉજવણી
RCB Open Top Bus Parade: આઈપીએલ 2025નો ખિતાબ જીતનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના ચાહકો માટે એક માઠા સમાચાર છે. આરસીબીની બેંગલુરુમાં યોજાનારી ઓપન-ટોપ બસમાં વિક્ટરી પરેડ ટ્રાફિક અને લોજિસ્ટિકલ સમસ્યાઓના કારણે રદ કરવામાં આવી છે. આ એડવાઈઝરી ઓપન પરેડ શરૂ થાય તેના કલાકો પહેલાં જ જાહેર કરવામાં આવી છે.
18 વર્ષ બાદ આરસીબી પ્રથમ વખત આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરવા સફળ રહી હતી. જેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે બેંગલુરુમાં ઓપન-ટોપ બસ પરેડ યોજાવાની હતી. જો કે, બેંગલુરુ પહેલાંથી જ ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરી રહ્યું હોવાથી આ પરેડના લીધે હાલાકી સર્જાવવાની ભીતિ છે. જેથી પરેડ રદ કરવામાં આવી છે.
ટીમને બિરદાવવા અને સન્માનિત કરતો કાર્યક્રમ આજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજાશે. આરસીબીનો સન્માન કાર્યક્રમ સાંજે પાંચ વાગ્યે શરૂ થશે. જ્યાં ચાહકો વિરાટ કોહલી સહિત ટીમના ખેલાડીઓને મળી શકશે. આ કાર્યક્રમમાં માન્ય ટિકિટ અને પાસ ધરાવતા લોકોને એન્ટ્રી મળશે. બેંગલુરુ ટ્રાફિક પોલીસે પબ્લિક એડવાઈઝરી જાહેર કરી જણાવ્યું હતું કે, આજે કોઈ વિક્ટરી પરેડ યોજાશે નહીં.
દેશભરમાં આરસીબીની જીતની ઉજવણી
ગઈકાલે આઈપીએલ 2025માં પ્રથમ વખત આરસીબીની જીત બાદ દેશભરમાં તેના ચાહકોએ ઉજવણી કરી હતી. બેંગલુરુ શહેરમાં તહેવાર જેવો માહોલ સર્જાયો હતો. વિધાન સૌધાની સામે મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતાં. રજત પાટીદારના નેતૃત્વ હેઠળ આરસીબીએ છ રને વિજય મેળવ્યો હતો. આરસીબીના 190 રનના લક્ષ્યાંક સામે પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 184 રન જ બનાવી શકી હતી.