'ટીમથી બહાર બેસવું...', અશ્વિને અચાનક નિવૃત્તિ લેવાનું અસલ કારણ જાહેર કર્યું, દ્રવિડ સામે ભાવુક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ravichandran Ashwin Retirement: ભારતીય સ્પિન દિગ્ગજ રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન અચાનક નિવૃત્તિ જાહેર કરવા અંગે ખુલીને વાત કરી છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડ સાથેની યુટ્યુબ ચેનલ પર વાતચીત કરતા કહ્યું કે, 'મને વિદેશી પ્રવાસો પર ટેસ્ટ મેચોથી બહાર બેસવાનું ખૂબ જ ખરાબ લાગવા લાગ્યું અને આ જ મારા અચાનક આંતરરાષ્ટ્રીય નિવૃત્તિનું કારણ હતું.'
રવિચંદ્રન અશ્વિને શું કહ્યું...
પૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલે પછી 500 થી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બીજા ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિને ગયા ડિસેમ્બરમાં બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ દરમિયા યુટ્યુબ ચેનલ પર રાહુલ દ્રવિડ સાથે વાત કરતા રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, 'હું સ્વીકારું છું કે મારી ઉંમર થઈ ગઈ છે, પરંતુ વારંવાર પ્રવાસ પર જવાનું અને મોટાભાગે બહાર બેસવાનું મને ખૂબ જ પરેશાન કરવાનું શરૂ કરી રહ્યું હતું. એવું નહોતું કે હું ટીમમાં યોગદાન આપવા માંગતો ન હતો, પરંતુ હું વિચારવા લાગ્યો હતો કે,ઘરે બાળકો સાથે સમય વિતાવવો વધુ સારું છે. બાળકો મોટા થઈ રહ્યા છે અને હું અહીં બેસીને શું કરી રહ્યો છું? મારા મનમાં હંમેશા એવું હતું કે હું 34-35 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈશ. પરંતુ વચ્ચે સતત રમી ન શકવાને કારણે, મેં નિર્ણય લઈ લીધો.'
દ્રવિડે અશ્વિનને રોહિત શર્મા વિશે શું કહ્યું?
ઈન્ટરવ્યુમાં રાહુલ દ્રવિડે રોહિત શર્મા વિશે વાત કહ્યું કે, 'મને હંમેશા લાગતું હતું કે રોહિત શર્મા ટીમની ખૂબ કાળજી રાખે છે અને પહેલા દિવસથી જ રોહિત ખૂબ જ સ્પષ્ટ હતો કે તે ટીમને કેવી રીતે ચલાવવા માંગે છે અને તેના માટે સૌથી મહત્ત્વપૂર્ણ શું છે. કોઈપણ કેપ્ટન-કોચ સંબંધમાં આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે, ખાસ કરીને મારી કોચિંગ શૈલીમાં, હું હંમેશા માનું છું કે તે કેપ્ટનની ટીમ હોવી જોઈએ. હું એક ખેલાડી તેમજ કેપ્ટન રહ્યો છું, પરંતુ કેપ્ટને ટીમની દિશા નક્કી કરવાની હોય છે.'
અશ્વિને વિદેશમાં કેટલી વિકેટ લીધી?
રવિચંદ્રન અશ્વિને નવેમ્બર 2011માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારતમાં રમાયેલી 65 ટેસ્ટમાં 383 વિકેટ અને વિદેશમાં 40 ટેસ્ટમાં 150 વિકેટ લીધી હતી. આ ઉપરાંત ન્યૂટ્રલ વેન્યૂ પર રમાયેલી એકમાત્ર ટેસ્ટ, 2019-21 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં 4 વિકેટ લીધી હતી.









