'સંજુને ઓપનિંગથી ન હટાવતા, હાર્દિક નેચરલ ફિનિશર...', રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને ચેતવી
Ravi Shastri believes Sanju Samson's performance: એશિયા કપ 2025ની શરૂઆત માટે હવે ગણતરીના દિવસો બાકી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAEની ટીમ સામે રમશે. આ મેચ દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમનો કયો ખેલાડી રમશે અને કોઈ ખેલાડી ટીમથી બહાર રહેશે અને ટોપઓર્ડરમાં કોણ બેટિંગ કરશે તેની ચર્ચા અત્યારથી જ શરૂ થઈ ગઇ છે. એક રિપોર્ટ પ્રમાણે આ મેચમાં સંજૂ સેમસન નહીં રમે. તેની જગ્યાએ વિકેટકીપર જિતેશ શર્માને પ્લેઇંગ-11માં એન્ટ્રી મળી શકે છે. ત્યારે શુભમન ગિલ અને અભિષેક શર્મા પણ ઓપનિંગ કરી શકે છે. હાલમાં સમય સુધી સંજૂ ઓપનિંગ કરતો આવ્યો છે, પણ શુભમન ગિલ ટીમમાં હોવાથી તેણે પ્લેઇંગ-11માં જગ્યા મળે તે મુશ્કેલ છે.
ટોપ ઓર્ડરમાં સેમસનનો શાનદાર રેકોર્ડ: શાસ્ત્રી
ભારતીય ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી રવિ શાસ્ત્રીએ કહ્યું,'સંજુ સેમસનનો ભારતીય ટીમ માટે T-20 ઇન્ટરનેશનલમાં સારો રેકોર્ડ છે. શુભમન ગિલ હોવાથી તેણે બહાર બેસાડવું યોગ્ય નથી. ગિલ ટીમમાં બીજા કોઈની જગ્યાએ રમી શકે છે, પણ ટીમમાં ઓપનર તરીકે સેમસને જ રમવું જોઈએ.'
સેમસન અને જીતેશ બંને સાથે રમી શકે છે
રવિ શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે, 'સંજૂ સેમસન અને જિતેશ શર્મા બંને એક સાથે ફીટ થઈ શકે છે. જો સેમસન ઓપનિંગ કરશે તો જિતેશને ત્રીજા કે ચોથા ક્રમમાં વિકેટકીપર બેટર તરીકે રમાડી શકાય છે. તે ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર કરે છે. તે કઇ રીતની પોઝિશન બનાવવા ઈચ્છે છે.'
શાસ્ત્રીએ શુભમનને લઈને શું કહ્યું?
શુભમન ગિલના વખાણ કરતાં રવિએ કહ્યું કે, 'જો કોઈ ખેલાડી ત્રણે ફોર્મેટમાં તેની જગ્યા પાકી કરી લે અને ટીમનો મહત્ત્વનો ભાગ બની જાય, તો તેણે બધા જ ફોર્મેટમાં રમવું જોઈએ. વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ બધા જ ફોર્મેટમાં મેચ રમી છે. શુભમન ખૂબ જ પ્રતિભાશાળી છે અને આવનાર 10 વર્ષ માટે ભારત માટે તે એક મહત્ત્વનો ખેલાડી રહેશે. ઈંગ્લેન્ડ ટૂર બાદ તેનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. હવે વાઇસ કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવને મોટી મદદ મળશે.'