Rahul Dravid vs Gautam Gambhir: ભારતીય ક્રિકેટ ટીમમાં 'સુપરસ્ટાર કલ્ચર' ખતમ કરવાને લઈને ચાલી રહેલી લાંબી ચર્ચા વચ્ચે પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડે મોટું નિવેદન આપ્યું છે. દ્રવિડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, દરેક રમતને આગળ વધારવા માટે પોતાના હીરો અને સુપરસ્ટાર્સની જરૂર હોય છે, કારણ કે કોઈ પણ ખેલાડી મેદાન પર સતત શાનદાર પ્રદર્શન કર્યા વગર સુપરસ્ટાર બની શકતો નથી.
રાહુલ દ્રવિડનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર સતત એ વાત પર જોર આપી રહ્યા છે કે ભારતીય ક્રિકેટમાં વ્યક્તિગત રેકોર્ડ કે સુપરસ્ટાર કલ્ચર કરતાં ટીમની જીત અને સફળતાને વધુ મહત્વ મળવું જોઈએ. ગંભીર માને છે કે ટીમની અંદરથી સુપરસ્ટાર કલ્ચર સદંતર નાબૂદ થવું જોઈએ.
ખેલાડી મહેનત કરીને જ સુપરસ્ટાર બને છે, આપમેળે નહીં: રાહુલ દ્રવિડ
એક પૉડકાસ્ટમાં વાતચીત દરમિયાન રાહુલ દ્રવિડે ગંભીરની વિચારધારાથી અલગ પક્ષ રાખતા જણાવ્યું કે, દરેક રમતને પોતાના હીરોની જરૂર હોય છે. ભારત જેવા વિશાળ દેશમાં કોઈ પણ ખેલાડી પર્ફોર્મન્સ વગર સુપરસ્ટાર બની શકતો નથી. જે ખેલાડીઓ સુપરસ્ટાર બને છે, તેઓ સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને જ કરોડો ફેન્સની કલ્પનાઓ અને આશાઓનો હિસ્સો બનતા હોય છે.
પોતાના જમાનાને યાદ કરતા દ્રવિડે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજોના ઉદાહરણ આપ્યા હતા. તેમણે કહ્યું કે આ ખેલાડીઓએ માત્ર પોતાના અંગત રેકોર્ડ્સ નથી બનાવ્યા, પરંતુ તેમના દમ પર જ ભારતીય ક્રિકેટને આખી દુનિયામાં એક નવી અને મજબૂત ઓળખ મળી છે.
રોહિત-વિરાટ જેવા દિગ્ગજ ખેલાડીઓની જગ્યા લેવી સરળ નથી: રાહુલ દ્રવિડ
તાજેતરમાં ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ખરાબ પ્રદર્શન અંગે દ્રવિડે સ્વીકાર્યું કે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન જેવા અનુભવી અને દિગ્ગજ ખેલાડીઓની જગ્યા લેવી કોઈ પણ નવા ખેલાડી માટે બિલકુલ સરળ નથી.


