બેંગલુરૂ નાસભાગ મામલે મોટી કાર્યવાહી, RCB, કર્ણાટક ક્રિકેટ બોર્ડ અને આયોજકો વિરૂદ્ધ FIR દાખલ
Chinnaswamy Stadium Tragedy: 18 વર્ષમાં પહેલીવાર IPL ચેમ્પિયન બનનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો જશ્ન માતમમાં ફેરવાઈ ગયો. જશ્ન માટે વિજેતા ખેલાડીઓના સ્વાગતમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભીડ એકઠી થઈ હતી અને ત્યારબાદ નાસભાગ થતા 11 લોકોના મોત થયા છે અને 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારબાદ કર્ણાટક હાઈકોર્ટે ખૂદ તે મામલાને પોતાની નોટિસમાં લીધી. આ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે કે, બેંગલુરૂમાં થયેલી નાસભાગ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે.
RCB અને કર્ણાટક ક્રિકેટ બોર્ડ વિરૂદ્ધ FIR
RCB, DNA (ઇવેન્ટ મેનેજર), KSCA (કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન) વહીવટી સમિતિ અને અન્ય લોકો વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે. આ સિવાય મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને કર્ણાટક ક્રિકેટ બોર્ડ પર પણ આરોપ લાગ્યા છે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિરૂદ્ધ FIRની માગ સાથે કરાઈ ફરિયાદ
સામાજિક કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાએ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓ વિરૂદ્ધ પર બેદરકારી બદલ દંડ સંહિતાની કલમ 106 હેઠળ કેસ કરવાની ફરિયાદ કરાઈ છે. આ સિવાય આમ આદમી પાર્ટી-કર્ણાટકના રાજ્ય યુવા પ્રમુખ લોહિત હનુમાનપુરાએ બેંગલુરુમાં નાસભાગની ઘટનાના સંદર્ભમાં કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન અને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમના સીઈઓ વિરુદ્ધ FIR દાખલ કરવાની વિનંતી કરતી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બેંગલુરુ સ્ટેમ્પિડ પીડિતના પરિવારનો આક્ષેપ
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર બુધવારે સાંજે થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલી 15 વર્ષીય દિવ્યાંશીના પરિવારે જણાવ્યું કે તેમને FIR નોંધાવવા માટે લગભગ ચાર કલાક રાહ જોવી પડી હતી. મૃતક કિશોરીના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે બેંગલુરુના યેલાહંકા સ્થિત શોકાતુર પરિવારના ઘરે સગાં-સંબંધીઓ એકઠા થયા હતા. તેના દુઃખી પિતાએ જણાવ્યું કે ગેટ નંબર 15 પર ધક્કામુક્કી થતા તેમની દીકરી પડી ગઈ. તે સમયે તેમની પત્ની અને સાળી પણ ત્યાં હાજર હતા.
બેંગલુરૂ નાસભાગ મામલે કર્ણાટક હાઈકોર્ટમાં થઈ સુનાવણી
બેંગલુરૂ નાસભાગ મામલે ગુરૂવારે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન એક્ટિંગ ચીફ જસ્ટિસ વી કામેશ્વર રાવ અને જસ્ટિસ સીએમ જોશી બેન્ચે રાજ્ય સરકારને દુર્ઘટના પર રિપોર્ટ રજૂ કરવાની નોટિસ આપી છે. હવે આગામી સુનાવણી 10 જૂને થશે. રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે, 'નાસભાગ બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી. વિક્ટરી પરેડ દરમિયાન 1380 પોલીસ કર્મચારી તૈનાત હતા.'
શું બની હતી ઘટના?
4 મેના રોજ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પહેલીવાર IPL ટાઇટલ જીત્યા બાદ બેંગ્લોરમાં વિજય પરેડનું આયોજન કર્યું હતું. સૌપ્રથમ, રાજ્ય સરકારે વિધાનસભા પરિસરમાં તમામ ખેલાડીઓનું સન્માન કર્યું. આ પછી, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પહેલા પણ સ્ટેડિયમની બહાર એકઠી થયેલી ભીડમાં ભાગદોડ થવાથી 11 લોકોના મોત થયા હતા. 33 લોકો ઘાયલ થયા છે. બધા મૃતકો 35 વર્ષથી ઓછી ઉંમરના હતા, 3 કિશોરો હતા.