T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8માં ક્વોલિફાય થયા બાદ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાદાબ ખાને પોતાના જ દેશના પૂર્વ ખેલાડીઓની મજાક ઉડાવી હતી. જે હવે વિવાદનું કારણ બની છે. PCBની ચેતવણી બાદ હવે પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે.
શું હતો વિવાદ?
ગ્રુપ સ્ટેજમાં ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાને નામિબિયાને હરાવી સુપર-8માં જગ્યા બનાવી હતી. જ્યારે શાદાબ ખાનને પૂર્વ ખેલાડીઓ દ્વારા કરવામાં આવતી ટીકા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, "તેઓ (પૂર્વ ખેલાડીઓ) પોતાની રીતે લિજેન્ડ હશે, પરંતુ અમે (વર્તમાન ટીમ) ભારત સામે એક મેચ તો જીત્યા છીએ." શાદાબનો ઇશારો એ તરફ હતો કે પાકિસ્તાનની જૂની ટીમો ભારત સામે વર્લ્ડ કપમાં ક્યારેય જીતી શકી નહોતી.
શાહિદ આફ્રિદીનો જડબાતોડ જવાબ
શાહિદ આફ્રિદીએ એક ટીવી ચેનલ પર શાદાબને જવાબ આપતા કહ્યું કે, સન્માન પચાવી ન શક્યા: "શાદાબે સાચું કહ્યું કે તેઓ ભારત સામે જીત્યા અને અમે નહીં. તેમને આ જીતનું સન્માન મળ્યું, પરંતુ તેઓ તેને સંભાળી શક્યા નહીં. 2021ની જીત બાદ તેઓ પોતાની વચ્ચેના મુદ્દાઓ જ ઉકેલી શક્યા નથી."
પ્રદર્શનથી જવાબ આપવો જોઇએ
આફ્રિદીએ ઉમેર્યું, "શાદાબ બેટા, તમે અત્યારે નામિબિયા જેવી નાની ટીમ સામે પ્રદર્શન કર્યું છે. હજુ ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમો સામે રમવાનું બાકી છે. ત્યાં પરફોર્મ કરીને જવાબ આપો, અમે પોતાની મેળે જ ચૂપ થઈ જઈશું."
અમારી સામે મોટી ટીમો હતી
આફ્રિદીએ યાદ અપાવ્યું કે, "અમારી સામે પણ લોકો ઘણું બોલતા હતા, પણ અમે હંમેશા મોટી ટીમો સામે રમીને અમારા પ્રદર્શનથી જવાબ આપતા હતા. જ્યારે તું ફોર્મમાં નહોતો, ત્યારે અમે જ તારો બચાવ કરતા હતા."


