ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનો સંન્યાસ, કહ્યું - 'મને અહેસાસ થઈ ગયો..'
Mushfiqur Rahim Announces ODI Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથના વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ બાદ હવે વધુ એક ખેલાડીએ આ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાના અને પોતાની ટીમના ખરાબ પ્રદર્શન બાદ બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમે સંન્યાસનું એલાન કર્યું છે. મુશફિકુર રહીમ પણ હવે બાંગ્લાદેશ માટે વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમશે. બુધવારે 5 માર્ચના રોજ મુશફિકુરે નિવૃત્તિની જાહેરાત કરી. તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. બુધવારે જ બાંગ્લાદેશ ટીમના વાર્ષિક કરારની જાહેરાત કરવામાં આવી હતી અને પછી તેના થોડા જ સમય બાદ મુશફિકુરે નિવૃત્તિની જાહેરાત કરી. તે લગભગ 19 વર્ષ સુધી બાંગ્લાદેશ માટે વનડે ક્રિકેટ રમ્યો.
મુશફિકુર રહીમે લીધો સંન્યાસ
મુશફિકુર રહીમે પોતાના ફેસબુક પેજ પર લખ્યું કે, 'હું આજથી વનડે ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. તમામ બાબતો માટે અલ્લાહુ અકબર. ભલે વૈશ્વિક સ્તરે અમારી સિદ્ધિઓ મર્યાદિત રહી હોય, પરંતુ એક વાત ચોક્કસ છે કે, જ્યારે પણ હું મારા દેશ માટે મેદાનમાં ઉતર્યો, ત્યારે મેં સમર્પણ અને પ્રામાણિકતા સાથે પોતાનું 100% થી વધુ આપ્યું.' તમને જણાવી દઈએ કે, આ ટુર્નામેન્ટમાં ટીમની સફર સમાપ્ત થતાં જ સ્ટીવ સ્મિથે પણ વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેની ટીમને સેમિફાઈનલમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
અને મને અહેસાસ થઈ ગયો કે આ જ મારી નિયતિ છે
વિકેટકીપર-બેટ્સમેને આગળ લખ્યું કે, 'છેલ્લા કેટલાક અઠવાડિયા મારા માટે ખૂબ જ પડકારજનક રહ્યા છે અને મને અહેસાસ થઈ ગયો કે આ જ મારી નિયતિ છે.' મુશફિકરે ઓગસ્ટ 2006માં ઝિમ્બાબ્વે સામે પોતાનું વનડે ડેબ્યૂ કર્યું હતું. હવે તે આ ફોર્મેટમાં સૌથી વધુ મેચ રમનાર બાંગ્લાદેશી ખેલાડી છે. તે 274 મેચ રમ્યો છે, જેમાં 36.42ની સરેરાશથી 7,795 રન બનાવ્યા છે, જેમાં 144 રનનો તેનો બેસ્ટ સ્કોર સામેલ છે. તેણે વનડે ક્રિકેટમાં નવ સદી પણ ફટકારી છે. વિકેટકીપર તરીકે તેણે 243 કેચ અને 56 સ્ટમ્પિંગ કર્યા છે. તે છેલ્લે ન્યુઝીલેન્ડ સામે રમ્યો હતો. પાકિસ્તાન સામેની મેચ રદ થઈ ગઈ હતી.