Get The App

IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
MS Dhoni IPL Retirement

MS Dhoni IPL Retirement : આઈપીએલ 2026 માંથી ચેન્નાઈ સુપર કિંગ્સની સફર સત્તાવાર રીતે સમાપ્ત ગઈ છે. ગુરુવારે ગુજરાત ટાઇટન્સ સામે મળેલી 89 રનની કારમી હાર બાદ ચેન્નાઈ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે. પરંતુ આ હાર કરતાં પણ મોટો આંચકો સીએસકેના ફેન્સને એ વાતનો લાગ્યો છે કે, શું હવે ક્રિકેટના ઇતિહાસના સૌથી મોટા 'ધોની યુગ'નો અંત આવી ગયો છે? આખી સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોની ગંભીર ઈજાના કારણે એકપણ મેચ રમી શક્યો નથી. લીગ સ્ટેજની છેલ્લી મેચ બાદ જ્યારે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને ધોનીના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેની પાસે પણ કોઈ ચોક્કસ જવાબ નહોતો.

ધોનીના ભવિષ્ય અંગે ઋતુરાજ ગાયકવાડનું નિવેદન

મેચ પૂરી થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ઋતુરાજને પૂછવામાં આવ્યું કે શું આ સીઝનમાં ટીમે માહી ભાઈને મિસ કર્યા? ત્યારે ગાયકવાડે ભાવુક થતાં જણાવ્યું કે, બિલકુલ, તેમના મેદાન પર હોવા માત્રથી જ સામેવાળા બોલરો દબાણમાં આવી જાય છે. ક્રીઝ પર માત્ર તેમની હાજરી જ મેચનો માહોલ બદલી નાખે છે. આગામી સીઝનમાં શું થશે તે મને ખબર નથી. પરંતુ હું ખુશ છું કે આ સીઝનમાં ટીમના યુવા ખેલાડીઓને ડગઆઉટમાં તેમની સાથે રહીને ઘણું બધું શીખવા મળ્યું છે. 

આઈપીએલ 2025 બાદ ફેન્સને આશા હતી કે ધોની 2026માં ધમાકેદાર વાપસી કરશે, પણ કિસ્મતે કંઈક અલગ જ મંજૂર રાખ્યું હતું. આ આખી સીઝનમાં ધોની પ્લેયર તરીકે જર્સી પહેરીને મેદાન પર બેટ ફેરવતા ન દેખાયો, પણ તે ડગઆઉટમાં બેસીને ટીમના યુવા ખેલાડીઓનું માર્ગદર્શન કરતા 'મેન્ટોર'ના રોલમાં જોવા મળ્યો. 

ધોની હવે એકેય મેચ રમશે કે નહીં? CSK નવેસરથી તૈયાર કરવી પડશે

CSKએ ધોનીના વિકલ્પ તરીકે સંજુ સેમસનને ટીમમાં સામેલ કર્યો હતો અને કાર્તિક તથા પ્રશાંત વીર જેવા યુવા ટેલેન્ટ પર મોટો દાવ લગાવ્યો હતો, છતાં ઈજાના કારણે ટીમનું કોમ્બિનેશન વિખેરાઈ ગયું. 5 વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે તેઓ પ્લેઓફમાં જગ્યા બનાવી શક્યા નથી. ટીમ અત્યારે બદલાવના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. આવામાં આઈપીએલ 2027ના મેગા ઓક્શન પહેલાં ટીમે આખી સ્ક્વોડને ફરીથી નવેસરથી તૈયાર કરવી પડશે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ જ રહેશે કે શું ધોની ફેન્સને અલવિદા કહેવા માટે છેલ્લી એક મેચ રમશે?