MS Dhoni Retirement: શું મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2027 માં પણ રમશે જેથી તેઓ ચેપોક સ્ટેડિયમમાં રમતા રમતા સંન્યાસ લઈ શકે? અથવા તો ધોની આ સીઝનમાં એક પણ મેચ રમ્યા વિના જ આઈપીએલ ક્રિકેટને હંમેશ માટે અલવિદા કહી ચૂક્યો છે? સુરેશ રૈનાએ આપેલા નિવેદનથી તો એવા જ સંકેતો મળી રહ્યા છે કે હવે ક્રિકેટના મેદાન પર 'થાલા' નો હેલિકોપ્ટર શૉટ ક્યારેય જોવા નહીં મળે.
ગઇકાલે પણ ધોની મેચ રમી શક્યો નહીં
એમ એસ ધોનીએ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ જ્યારે પણ આઈપીએલમાંથી નિવૃત્તિ લેશે, ત્યારે ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ પર પોતાની આખરી મેચ રમીને જ લેશે. સોમવારે ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આ સીઝનનો આ મેદાન પર છેલ્લી મેચ રમાઈ હતી. ફેન્સની નજર પ્લેઈંગ ઈલેવનમાં ધોનીને શોધી રહી હતી, પરંતુ ઈજાના કારણે ધોની આખી સીઝનની જેમ આ મેચમાં પણ રમી શક્યો નહીં.
ધોનીએ રૈનાને કહ્યું- મારું શરીર હવે નબળું પડી ગયું છે
હવે સીએસકેની આ સીઝનની છેલ્લી લીગ મેચ 21મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાવાની છે. પરંતુ, સીએસકે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ચૂકી હોવાથી અને ધોની સંપૂર્ણ ફિટ ન હોવાથી તેઓ અમદાવાદમાં પણ રમે તેવી શક્યતા નહિવત્ છે. ધોનીએ ભલે સત્તાવાર જાહેરાત ન કરી હોય, પરંતુ તેમના સૌથી નજીકના મિત્ર સુરેશ રૈનાએ એક મોટો ખુલાસો કર્યો છે. રૈનાએ કહ્યું કે કે, "મેં માહી ભાઈને કહ્યું - તમે તો IPL 2026ને માત્ર એક મિસ્ડ કોલ આપી દીધો. આ સીઝનની તો ગણતરી જ નહીં થાય કારણ કે તમે એક પણ મેચ નથી રમ્યા. હવે તમારે ફેન્સ માટે આગામી સીઝનમાં આવવું જ પડશે. જવાબમાં ધોનીએ કહ્યું- મારું શરીર હવે નબળું પડી ગયું છે.''
જોકે, સુરેશ રૈનાએ હજુ પણ આશા છોડી નથી. જ્યારે રેનાએ વાપસી માટે વધુ દબાણ કર્યું, ત્યારે ધોનીએ છેલ્લે એટલું કહ્યું કે, મને જોવા દો (Let me see).


