Get The App

IPLમાંથી બહાર થયા બાદ ભાવુક થયા 27 કરોડના કેપ્ટન ઋષભ પંત : ઈમોશનલ સ્પીચ વાયરલ

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
IPLમાંથી બહાર થયા બાદ ભાવુક થયા 27 કરોડના કેપ્ટન ઋષભ પંત : ઈમોશનલ સ્પીચ વાયરલ 1 - image

Cricketer Rishabh Pant : ઋષભ પંત માટે આઈપીએલ (IPL 2026) ખૂબ જ નિરાશાજનક રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર પંતનો એક ઈમોશનલ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આઈપીએલમાંથી બહાર થયા બાદ 27 કરોડના આ કેપ્ટને ફેન્સનો આભાર માન્યો હતો, પરંતુ તેમના ચહેરા પરની નિરાશા અને અવાજમાં છુપાયેલું દર્દ ચર્ચાનો વિષય બન્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝન વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત માટે ભૂલી જવા જેવી રહી છે. પંત આ સીઝનમાં ન તો બેટથી કોઈ કમાલ કરી શક્યા, ન તો તેમની કેપ્ટનશીપ સફળ રહી. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની સતત હાર, ખરાબ કેપ્ટનશીપ, ફ્લોપ બેટિંગ અને સતત વધતા દબાણ વચ્ચે હવે તેમનો એક ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ વચ્ચે એ ચર્ચા તેજ થઈ ગઈ છે કે શું પંત પર કેપ્ટનશીપનું દબાણ હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે?

પોઈન્ટ્સ ટેબલમાં લખનઉ સૌથી નીચે પટકાયું

આઈપીએલ 2026માં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 14 મેચમાંથી માત્ર 4 મેચ જીતી શકી હતી, અને પોઈન્ટ્સ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને રહી હતી. ગત સીઝનમાં સાતમા સ્થાને રહ્યા બાદ આ વખતે ટીમનું છેક છેલ્લે પટકાવું એ ફ્રેન્ચાઈઝી માટે બહુ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સે 2025ના મેગા ઓક્શન દરમિયાન ઋષભ પંતને 27 કરોડ રૂપિયાની રેકોર્ડબ્રેક કિંમતે ખરીદ્યો હતો, જેથી ટીમને તેમની પાસેથી મોટી આશાઓ હતી, પરંતુ પંત આ અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નહોતા.

આ પણ વાંચો : IPLના ઈતિહાસમાં સુનિલ નરેનના નામે ગજબનો રેકોર્ડ, વિસ્ફોટક બેટરો પણ તેની સામે ફેલ

સીઝન પૂર્ણ થયા બાદ ઋષભ પંતનું ફેન્સને ભાવૂક સંબોધન

ઋષભ પંતે કહ્યુ કે "ખૂબ ખૂબ આભાર. આ સીઝન અમારા માટે ખૂબ જ મુશ્કેલ રહી. અમે ખૂબ મહેનત કરી હતી. દરેક પરિસ્થિતિમાં ટીમને સપોર્ટ કરવા બદલ હું તમારો આભારી છું. અમે મજબૂત વાપસી કરીશું, બસ ટીમ પર તમારો ભરોસો જાળવી રાખજો."

કેપ્ટનશીપના દબાણમાં પંત ફ્લોપ: ટોમ મૂડી

કોઈ સમયે આઈપીએલના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં ગણાતા ઋષભ પંતનું બેટ છેલ્લા બે સીઝનથી શાંત જોવા મળી રહ્યું છે. LSG માટે રમતા તેમના સ્ટ્રાઈક રેટ અને રન બંનેમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન લખનૌના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ટોમ મૂડીએ પણ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે પંત પર કેપ્ટનશીપનું પ્રેશર સાફ દેખાતું હતું. પંજાબ કિંગ્સ (PBKS) સામેની છેલ્લી મેચ બાદ મૂડીએ જણાવ્યું હતું કે, "કેપ્ટનશીપ તેમના માટે પડકારજનક રહી છે અને પરિણામો પણ એ જ દર્શાવે છે. આપણે એ પણ જોવું પડશે કે શું કેપ્ટનશીપના દબાણની અસર તેમની બેટિંગ પર પડી રહી છે."

કરિયરના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે પંત

ઋષભ પંત માટે મુશ્કેલીઓ માત્ર આઈપીએલ પૂરતી સીમિત નથી. તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ઉપ કેપ્ટનશીપ તેમની પાસેથી લઈને કેએલ રાહુલને સોંપી દેવામાં આવી છે, જ્યારે વનડે ટીમમાં પણ તેમને સ્થાન મળ્યું નથી. હવે સતત ખરાબ પ્રદર્શન બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, શું લખનૌ સુપર જાયન્ટ્સ આગામી સીઝનમાં પણ ઋષભ પંતને કેપ્ટન તરીકે યથાવત રાખશે કે પછી ફ્રેન્ચાઈઝી કોઈ નવા ચહેરા પર દાવ લગાવશે? હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે પંતના ક્રિકેટ કરિયરનો આ કદાચ સૌથી કઠિન દોર ચાલી રહ્યો છે.

આ પણ વાંચો : IPLના ઈતિહાસમાં રોહિત શર્માના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, મેક્સવેલના રેકોર્ડની બરાબરી કરી