Kapil Dev Statement: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને 1983 વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવે આધુનિક ક્રિકેટ, કોચની ભૂમિકા અને ભૂતકાળના દિગ્ગજો વિશે અનેક ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) ના શતાબ્દી સત્રમાં બોલતા કપિલે સ્પષ્ટ કર્યું કે, 'આજના સમયમાં કોચ કરતાં 'મેનેજર'ની ભૂમિકા વધુ મહત્ત્વની છે.'
'ગૌતમ ગંભીર કોચ નહીં, મેનેજર છે'
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં ભારતની 0-2થી થયેલી હાર બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ટીકા થઈ રહી છે. આ અંગે કપિલ દેવે કહ્યું કે, 'કોચ' શબ્દ હવે ગેરસમજ પેદા કરે છે. ગૌતમ ગંભીર કોચ ન હોઈ શકે, તે ટીમ મેનેજર હોઈ શકે છે. કોચ એ હોય છે જે શાળા કે કોલેજમાં ટેકનિક શીખવે. ગંભીર કોઈ લેગ-સ્પિનર કે વિકેટકીપરને કોચિંગ કેવી રીતે આપી શકે? તેનું કામ ખેલાડીઓને મેનેજ કરવાનું અને તેમને પ્રોત્સાહિત કરવાનું છે.'
સુનીલ ગાવસ્કર અને T20 ક્રિકેટ
કપિલ દેવે સુનીલ ગાવસ્કરની બેટિંગ ટેકનિકના વખાણ કરતા એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'જો ગાવસ્કર આજના યુગમાં હોત તો તેઓ T20 ફોર્મેટમાં પણ નંબર-1 બેટર હોત.'
તેમણે સમજાવ્યું કે, 'જે લોકો પાસે મજબૂત ડિફેન્સ હોય છે, તેમના માટે મોટા શોર્ટ્સ મારવા ખૂબ સરળ હોય છે. ક્રિકેટમાં ડિફેન્સ એ સૌથી મુશ્કેલ ભાગ છે. ગાવસ્કર પાસે શ્રેષ્ઠ ડિફેન્સ હતો, એટલે તેમની પાસે બોલ રમવા માટે વધારાનો સમય હોત અને તેઓ આક્રમક રીતે રમી શક્યા હોત.'
આધુનિક ફોર્મેટ્સ પર કપિલના વિચારો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે જણાવ્યું કે તેમને ક્રિકેટના તમામ ફોર્મેટ્સ (T20, T10, ODI) ગમે છે. જોકે, તેમનો આગ્રહ છે કે પાયાની રમત એટલે કે 'ડિફેન્સ' ક્યારેય નબળું ન પડવું જોઈએ. ગંભીરની વ્યૂહરચના અને ખેલાડીઓના સતત બદલાવ અંગે થઈ રહેલી ટીકાઓ વચ્ચે કપિલ દેવનું આ નિવેદન ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે. તે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેકનિક શીખવવા કરતા ખેલાડીઓના માઈન્ડસેટને હેન્ડલ કરવું વધુ જરૂરી છે.


