Irfan Pathan on Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીએ 2025માં IPLમાં પ્રવેશ કર્યો હતો. જેમાં પહેલી જ સિઝનમાં વૈભવે 200થી વધુના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી અને 36ની પ્રભાવશાળી સરેરાશથી રન બનાવ્યા હતા. હવે IPL 2026માં વૈભવ પર ફોર્મ જાળવી રાખવાનું દબાણ રહેશે. વૈભવ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ અને અંડર-19 T20 વર્લ્ડ કપમાં પણ સારુ પ્રદર્શન કરી રહ્યો છે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને ચેતવણી આપી છે.
ઇરફાન પઠાણે વૈભવ સૂર્યવંશીને આપી ચેતવણી
ગઈ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી, જે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોઈ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી છે. ઇરફાન પઠાણનું કહેવું છે કે, સતત મજબૂત પ્રદર્શન કરવું અને પડકારજનક પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવું એ IPL 2026માં વૈભવ માટે સૌથી મોટો પડકાર હશે.
ઇરફાન પઠાણે શું કહ્યું?
ઇરફાન પઠાણે કહ્યું કે, 'વૈભવ સૂર્યવંશીએ છેલ્લા એક વર્ષમાં બહુ સારુ પ્રદર્શન કર્યું છે. તે રણજી ટ્રોફી અને અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં રમ્યો છે અને અન્ય વિવિધ ટુર્નામેન્ટમાં પણ રન બનાવ્યા છે. તેવામાં વિરોધી ટીમો તેની નબળાઈઓને ઓળખવા માટે તેની રમતનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહી હોવાની શક્યતા છે. આ જ કારણોસર વૈભવને તેની રમતમાં સુધારો કરવાની અને તે નબળાઈઓને દૂર કરવા માટે કામ કરવાની જરૂર છે.'
ઇરફાન પઠાણે કહ્યું, 'વૈભવ ક્રિકેટના દરેક ફોર્મેટમાં સહેલાઈથી સદીઓ ફટકારી રહ્યો છે. જ્યારે તમે નિરંતર આવું કરો છો તો તમારો આત્મવિશ્વાસ સ્વાભાવિક રીતે વધે છે. આ IPL સિઝનમાં બધા બોલરો વિવિધ વ્યૂહરચના સાથે તૈયાર થશે અને વૈભવ પોતાને સાબિત કરવા માટે મેદાનમાં ઉતરશે. આમ વૈભવ આ સિઝનમાં જોરદાર પ્રદર્શન કરશે, ત્યારે જ આપણે ખરેખર કહી શકીશું કે તેણે પોતાની રમતમાં સુધારો કર્યો છે.'
વૈભવ સૂર્યવંશીએ IPL 2025 દરમિયાન સાત મેચમાં 252 રન બનાવ્યા છે, જેમાં 206.5નો સ્ટ્રાઇક રેટ હતો. અંડર-19 વર્લ્ડ કપમાં તેણે 80 બોલમાં 175 રનની ઐતિહાસિક ઇનિંગ રમી અને ટુર્નામેન્ટમાં રમાયેલી સાત મેચમાં કુલ 439 રન બનાવ્યા છે.


