IPL 2026: IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને તેના કેપ્ટન અજિંક્ય રહાણેની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ ટીમ આ સીઝનમાં હજુ સુધી જીતનું ખાતું ખોલી શકી નથી, ત્યાં બીજી તરફ BCCIએ કેપ્ટન રહાણે પર લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં હાર બાદ હવે સ્લો ઓવર રેટને કારણે આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
કેમ લાગ્યો 12 લાખનો દંડ?
IPL દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ, ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન KKRની ટીમ નિયત સમય મર્યાદામાં પોતાની 20 ઓવર પૂરી કરી શકી નહોતી. આ સીઝનમાં KKRની આ પ્રથમ ભૂલ હોવાથી IPL કોડ ઓફ કન્ડક્ટ હેઠળ કેપ્ટન અજિંક્ય રહાણેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મેચ દરમિયાન પણ ટીમને તેની સજા ભોગવવી પડી હતી, જેમાં છેલ્લી ઓવરમાં પેનલ્ટીના ભાગરૂપે બાઉન્ડ્રી લાઇન પર એક ફિલ્ડર ઓછો રાખવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો: યાદ કરો વો દિન... સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી
હવે જો ભૂલ થશે તો દંડ ડબલ થશે
રહાણે અને KKR માટે હવે સાવધ રહેવાનો સમય છે. જો આ સીઝનમાં બીજી વખત ટીમ સ્લો ઓવર રેટ માટે દોષિત જણાશે તો કેપ્ટન પર દંડ ફટકારાશે. 12 લાખથી વધીને સીધો 24 લાખ રૂપિયા થઈ જશે. પ્લેઈંગ ઈલેવનના તમામ સભ્યો અને ઈમ્પેક્ટ પ્લેયર પર પણ મેચ ફીના 25% અથવા 6-6 લાખ રૂપિયાનો દંડ લાગી શકે છે.
KKRનું અત્યાર સુધીનું નિરાશાજનક પ્રદર્શન
કોલકાતાની ટીમ માટે અત્યાર સુધીની સફર ઘણી કઠિન રહી છે. ટીમે 5 માંથી 4 મેચ ગુમાવી છે અને માત્ર એક પોઈન્ટ તેની પાસે છે (પંજાબ સામેની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી). ટીમમાં ખેલાડીઓની ઈજા પણ એક મોટો પડકાર બની રહી છે. હવે પછીની મેચોમાં રહાણેની ટીમે માત્ર જીત જ નહીં, પરંતુ મેદાન પર સમયનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે.


