IPLમાં કરોડોમાં વેચાયેલા 4 ભારતીય ખેલાડીઓને નિરાશાજનક પ્રદર્શન ભારે પડશે, T20 ટીમમાંથી કાઢી મૂકાશે?
4 Indian Players may get Dropped from T20: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝન ઇતિહાસમાં નોંધાઈ ચૂકી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 18 વર્ષમાં પ્રથમ વખત ચેમ્પિયન બની છે! રજત પાટીદારની આગેવાની હેઠળ RCBએ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું હતું. RCBનું સપનું સાકાર થયું, જ્યારે પંજાબનું આ વર્ષે પણ ટ્રોફી જીતવાનું સપનું અધૂરું રહ્યું.
આ ખેલાડીઓ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહીં
આ સીઝનમાં આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્ય જેવા યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને બધાને ચોંકાવી દીધા. જોકે, કેટલાક ભારતીય ખેલાડીઓ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહીં, જેના કારણે હવે તેમની T20 વર્લ્ડ કપ 2026ની દાવેદારી જોખમમાં મુકાઈ ગઈ છે. આ ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામેની અગાઉની T20 સિરીઝમાં પણ ટીમનો ભાગ હતા. જોઈએ આવા 4 ખેલાડીઓ વિશે....
1. મોહમ્મદ શમી
અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે રમ્યો, પરંતુ તેમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું. 9 મેચમાં તેણે માત્ર 6 વિકેટ લીધી. પંજાબ કિંગ્સ સામે તેણે 4 ઓવરમાં 75 રન આપ્યા! 10 કરોડમાં ખરીદાયેલા શમીને પછીથી પ્લેઈંગ-11માંથી બહાર કરી દેવાયો. પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ અને ખલીલ અહેમદ જેવા બોલર સારા ફોર્મમાં હોવાથી હવે શમીની T20 ટીમમાં જગ્યા મુશ્કેલ છે.
2. રિંકુ સિંહ
ડાબોડી બેટર રિંકુ સિંહને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ 13 કરોડમાં રીટેન કર્યો હતો, પરંતુ તે અપેક્ષા પર ખરી ઉતાર્યો નહીં. 11 ઇનિંગ્સમાં તેણે 153.73ના સ્ટ્રાઈક-રેટથી માત્ર 206 રન બનાવ્યા. IPL 2024 પછી તેનું ફોર્મ સતત ગગડતું રહ્યુંછે, જેના કારણે તેની ભારતીય T20 ટીમમાંથી બાદબાકીનો ખતરો છે.
3. રવિ બિશ્નોઈ
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા 11 કરોડમાં રીટેન કરાયેલા લેગ-સ્પિનર રવિ બિશ્નોઈ પણ આ સીઝનમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. 11 મેચમાં તેણે માત્ર 9 વિકેટ લીધી અને તેમનો ઇકોનોમી રેટ 10.83 રહ્યો, જે સ્પિનર માટે ઘણો ખરાબ ગણી શકાય. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી જેવા વિકલ્પો ઉપલબ્ધ હોવાથી, બિશ્નોઈની T20 ટીમમાં જગ્યા પર પ્રશ્ન છે.
4. નીતીશ કુમાર રેડ્ડી
ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં ભારતીય ટીમમાં હતો, પરંતુ ઈજાને કારણે બહાર થવું પડ્યું. IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. 13 મેચમાં તેણે માત્ર 182 રન બનાવ્યા અને 3 ઇનિંગ્સમાં 2 વિકેટ લીધી. 6 કરોડમાં રીટેન કરાયેલા નીતીશ પણ અપેક્ષા પર ખરો ઉતારી શક્યો નહીં.