'હું ઘણો નિરાશ છું...' ફાઈનલમાં હાર બાદ અય્યરનું દર્દ છલકાયું, મેચનું ટર્નિંગ પોઈન્ટ જણાવ્યું
IPL 2025 Shreyas Ayyar News : એક તરફ કોહલીની આરસીબી 18 વર્ષે આઈપીએલ ચેમ્પિયન તો બીજી બાજુ 17 વર્ષથી ખિતાબથી દૂર પંજાબ કિંગ્સને ફરી નિરાશાનો સામનો કરવો પડ્યો. 11 વર્ષ પછી IPL ફાઇનલમાં પહોંચેલી પંજાબને RCB સામે 6 રનથી હારનો સામનો કરવો પડ્યો.
વીર માટે જે કર્યું તે ઝારા માટે કરવામાં નિષ્ફળ!
પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ગત સિઝનમાં શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં KKRએ SRHને હરાવીને ફાઇનલ ટાઇટલ જીત્યું હતું. શ્રેયસ ઐયરે 'વીર' એટલે કે શાહરૂખ ખાનની ટીમ માટે જે કામ કર્યું હતું. તે 'ઝારા' એટલે કે પ્રીતિ ઝિન્ટા માટે તે ઇતિહાસનું પુનરાવર્તન કરી શક્યો નહીં.
અય્યરનું દર્દ છલકાયું
ફાઇનલ હાર્યા બાદ, નિરાશ શ્રેયસ ઐયરે જણાવ્યું કે તેની ટીમે ક્યાં ભૂલ કરી, જેના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો. જોકે, શ્રેયસે ટીમના આત્મવિશ્વાસની પ્રશંસા કરી. તેણે કહ્યું કે ટીમ ટુર્નામેન્ટમાં જે રીતે રમી તે અદ્ભુત હતું. શ્રેયસ ઐયરે કહ્યું, હું ખૂબ જ નિરાશ છું, પરંતુ આ ટુર્નામેન્ટમાં અમારી ટીમ જે રીતે રમી તે અદ્ભુત હતું. આનો ઘણો શ્રેય મેનેજમેન્ટ અને દરેક ખેલાડીને જાય છે. અમે અહીં રમેલી છેલ્લી મેચ જોઈને, મને વ્યક્તિગત રીતે લાગ્યું હતું કે 200 રનનો સ્કોર ચેઝ કરી શકાય તેમ હતો. જોકે, RCB એ શાનદાર બોલિંગ કરી. કૃણાલનું પરફોર્મન્સ જબરદસ્ત હતું. તેણે પોતાના અનુભવનો ઉપયોગ કર્યો.
'મારું આઉટ થવું એ ટર્નિંગ પોઈન્ટ હતું'
પંજાબના કેપ્ટને કહ્યું, મારું આઉટ થવું એ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. મને મારી ટીમના દરેક સભ્ય પર ગર્વ છે. ઘણા યુવા ખેલાડીઓએ તેમની પહેલી સિઝન રમી. તેમની નિર્ભયતા અવિશ્વસનીય હતી. કામ હજુ અડધું થઈ ગયું છે. હવે અમારે આવતા વર્ષે જીતવું છે. દરેક મેચમાં અમે જે રીતે પ્રદર્શન કર્યું તે સકારાત્મક હતું. અમને ઘણો અનુભવ મળ્યો છે અને હવે અમે આવતા વર્ષ માટે આગળ વધી શકીએ છીએ.
પંજાબ ઇતિહાસ રચતા રહી ગયું
RCB એ 18 વર્ષમાં તેનું પ્રથમ IPL ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો. IPL 2025 ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને હરાવ્યું. પહેલા બેટિંગ કરતા, RCB એ 190 રન બનાવ્યા. જવાબમાં, પંજાબ કિંગ્સ ફક્ત 184 રન બનાવી શક્યું. શશાંક સિંહે અણનમ અડધી સદીની ઇનિંગ રમી હતી.