IND vs SA: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, બીજી ટેસ્ટમાં શુભમન ગિલ બહાર થયાની ચર્ચા, સુદર્શનને તક!

Shubman Gill News: શુભમન ગિલ ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કોલકાતા ટેસ્ટ દરમિયાન ગિલને ગરદનમાં દુખાવો થયો હતો, જેના કારણે તેને રિટાયર્ડ હર્ટ થઈને મેદાન છોડવું પડ્યું હતું. તે બીજી ઇનિંગમાં પણ બેટિંગ કરી શક્યો ન હતો. એક મીડિયા એજન્સીના અહેવાલ મુજબ, ગિલ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે, અને તેની ગેરહાજરીમાં રિષભ પંત ટીમનું નેતૃત્વ કરશે.
કોલકાતા ટેસ્ટમાં શુભમન ગિલની ખોટ વર્તાય હતી. જ્યાં ટીમ ઈન્ડિયા 124 રનના લક્ષ્યનો પીછો કરતા 30 રનથી મેચ હારી ગઈ હતી. બીસીસીઆઈએ આજે ગિલ અંગે એક સત્તાવાર નિવેદન જારી કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે ટીમ સાથે ગુવાહાટી પહોંચી રહ્યો છે, પરંતુ તેની ભાગીદારી અંગે નિર્ણય હજુ બાકી છે.
પ્લેઇંગ 11માં આ ખેલાડીને તક મળી શકે છે
વાઇસ-કેપ્ટન રિષભ પંતે શુભમન ગિલની ગેરહાજરીમાં પહેલી ટેસ્ટમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. 26 વર્ષીય પંત બીજી ટેસ્ટમાં પણ કેપ્ટનશીપ કરશે, જ્યારે ગિલની ગેરહાજરીમાં સાઈ સુદર્શનને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.
બીસીસીઆઈએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ગરદનમાં ઈજા થઈ હતી અને દિવસની રમત પૂર્ણ થયા બાદ તેને તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી. ગિલ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને 19 નવેમ્બર, 2025 ના રોજ ટીમ સાથે ગુવાહાટી જશે.'

