પટૌડી ટ્રોફી હવે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી બની પણ હજુ સુધી અનાવરણ કેમ ન થયું, જાણો કારણ
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝ 20 જૂનથી શરૂ થવા જઈ રહી છે. ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે, જે શરૂ થવામાં હવે માત્ર 4 દિવસનો સમય રહ્યો છે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની સીરિઝ પહેલા એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ વખતે ટેસ્ટ સીરિઝ 'તેંડુલકર-એન્ડરસન ટ્રોફી'ના નામથી રમાશે. ભારતના પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકર અને ઈંગ્લેન્ડના સૌથી સફળ બોલર જેમ્સ એન્ડરસનના નામ પરથી આ ટ્રોફીનું નામ રાખવામાં આવ્યું છે.
ક્યારે થશે ટ્રોફીનું અનાવરણ?
તમને જણાવી દઈએ કે, પૂર્વ ભારતીય કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીના માનમાં તેને પહેલા 'પટૌડી ટ્રોફી' કહેવામાં આવતી હતી. આ ટ્રોફીનું નામ બદલવાનો નિર્ણય યજમાન ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા લેવામાં આવ્યો છે. નામ તો બદલી નાખ્યું, પરંતુ નવી ટ્રોફીનું અનાવરણ હજુ સુધી કરવામાં નથી આવ્યું. 'તેંડુલકર-એન્ડરસન ટ્રોફી'નું અનાવરણ 14 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ત્રીજા રાઉન્ડ (2023-25) ની ફાઈનલ દરમિયાન થશે.
હવે ટ્રોફીના અનાવરણમાં વિલંબનું કારણ સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનાને કારણે તેમાં વિલંબ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક અધિકારીએ જણાવ્યું કે, 'અમદાવાદમાં તાજેતરમાં થયેલી દુર્ઘટનાના કારણે ટ્રોફીના અનાવરણમાં વિલંબ થયો છે. તેને રદ કરવામાં નથી આવ્યું. એવી અપેક્ષા છે કે સીરિઝ શરૂ થાય તે પહેલાં ટ્રોફીનું અનાવરણ કરી દેવામાં આવશે.'
અમદાવાદ વિમાન દુર્ઘટના
તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં બ્રિટિશ નાગરિકોના પણ મોત થયા હતા. એર ઈન્ડિયાનું આ વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેક ઓફ કર્યાની થોડી જ મિનિટો પછી ક્રેશ થઈ ગયું હતું. એર ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે વિમાનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સામેલ છે. આ ઉપરાંત વિમાનમાં 12 ક્રૂ મેમ્બર પણ હતા.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં દિગ્ગજ બોલરની સરપ્રાઈઝ એન્ટ્રી થશે! ઈંગ્લેન્ડમાં રોકાઈ જવા કહેવાયું
સચિન તેંડુલકરે કરી હતી આ વિનંતી
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનું નામ બદલવાથી એક નવો વિવાદ સર્જાયો છે. ચાહકો તો નારાજ થયા જ હતા, પરંતુ પટૌડી પરિવાર પણ આ નિર્ણયથી નાખુશ દેખાતો હતો. વિવાદ વધતો જોઈને સચિન તેંડુલકર સમગ્ર મામલે આગળ આવ્યો છે. માસ્ટર બ્લાસ્ટરે BCCI અને ECB ને વિનંતી કરી છે કે તેઓ સીરિઝમાં પટૌડીના વારસાને જાળવી રાખવાનો કોઈ માર્ગ શોધે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સચિન તેંડુલકર ઉપરાંત ICC ચેરમેન જય શાહ પણ ઈચ્છે છે કે ભારતીય ક્રિકેટમાં પટૌડીના યોગદાનને ધ્યાનમાં રાખીને સ્વર્ગસ્થ કેપ્ટનનું નામ આ સીરિઝ સાથે જોડાયેલું રહે. ટ્રોફીના અનાવરણમાં વિલંબનું આ પણ કારણ હોઈ શકે છે.