Get The App

ધોની અને કોહલી ના કરી શક્યા એ ગિલ કરી બતાવશે? ઈંગ્લેન્ડમાં ગંભીરની પણ થશે 'અગ્નિપરીક્ષા'

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
India Tour of England 2025
(Photo: IANS)





India Tour of England 2025: નવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં, યુવા ભારતીય ટેસ્ટ ટીમ ઇતિહાસ રચવા માટે ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયાની પહેલી મેચ 20 જૂનથી લીડ્સના મેદાન પર શરૂ થશે. આ વખતે ઇંગ્લેન્ડ સામેની આ 5 ટેસ્ટ મેચ સિરીઝમાં, ભારતીય ટીમ રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના રમશે, કારણ કે આ બંને ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. એવામાં શુભમન ગિલની કેપ્ટનશીપ અને હેડ કોચ ગૌતમ ગંભીર માટે આ પ્રવાસ અગ્નિપરીક્ષા સમાન છે. ઇંગ્લેન્ડનો પ્રવાસ હંમેશા ભારત માટે પડકારજનક રહ્યો છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે શું ભારતીય ટીમ 18 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં સિરીઝ જીતી શકશે કે નહીં?

ભારત માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ પડકારજનક 

ભારતે 2007 માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ઇંગ્લેન્ડમાં છેલ્લી ટેસ્ટ સિરીઝ 1-0 થી જીતી હતી. તે પછી, ભારતીય ટીમે ચાર વખત ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. પરંતુ ભારતે એક પણ સિરીઝ જીતી નથી. 

-  2011માં ઇંગ્લેન્ડ 4-0થી જીત્યું

- 2014માં ઇંગ્લેન્ડ 3-1થી જીત્યું

- 2018માં ઇંગ્લેન્ડ 4-1થી જીત્યું

- 2021-22માં ઇંગ્લેન્ડ પ્રવાસમાં (2-2થી ડ્રો) 

ખાસ વાત એ છે કે ગૌતમ ગંભીર પણ તે પ્રવાસમાં ટીમ ઇન્ડિયાનો ભાગ હતો.

ઇંગ્લેન્ડ પ્રવાસમાં ધોની અને કોહલી પણ સિરીઝ જીતી ન શક્યા 

ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં 2011 અને 2014 માં બે વાર ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. બંને વખત ભારતીય ટીમ સિરીઝ હારી ગઈ હતી. તે જ સમયે, ટીમ ઇન્ડિયાએ 2018 અને 2022 માં વિરાટ કોહલીના નેતૃત્વમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. 2018 માં, ભારતીય ટીમ હારી ગઈ હતી, જ્યારે 2022 ના પ્રવાસમાં, ભારતીય ટીમે પટૌડી ટ્રોફી (હવે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી) બરાબરી કરી હતી.

નવો ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ સામે એક મોટો પડકાર

- 2011માં ભારત 4 ટેસ્ટની સિરીઝમાં 0-4થી હારી ગયું હતું. 

- 2014માં ભારતીય ટીમ 5 મેચની ટેસ્ટ સિરીઝ 1-3થી હારી ગઈ હતી. 

- 2018માં જ્યારે ભારતીય ટીમ કોહલીના નેતૃત્વમાં ઈંગ્લેન્ડ ગઈ હતી, ત્યારે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 1-4થી હારી ગઈ હતી. 

- જોકે, 3 વર્ષ પહેલાં 2022માં ભારતે 5 ટેસ્ટની સિરીઝ 2-2થી બરાબર કરી હતી.

ટીમ ઈન્ડિયામાં પ્રતિભાશાળી ખેલાડીઓ છે, પરંતુ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટ રમવું હંમેશા મુશ્કેલ રહ્યું છે. સ્વિંગ અને સીમ બોલનો પડકાર, પીચ પર ઉછાળો અને ઈંગ્લેન્ડના બોલરોનો અનુભવ, આ બધા ભારતના બેટર માટે અગ્નિ પરીક્ષા છે. તેમજ શુભમન ગિલને પણ બેટિંગ તેમજ કેપ્ટનશીપનું  પ્રેશર રહેશે. તેને ઈંગ્લેન્ડમાં રમવાનો બહુ અનુભવ નથી. ઈંગ્લેન્ડમાં, તેણે 2021-2023 વચ્ચે 3 ટેસ્ટની 6 ઇનિંગ્સમાં 88 રન બનાવ્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 28 હતો.

ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનો ઇતિહાસ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ ટેસ્ટ: 136 રમાઈ છે, જેમાં ભારત 35 મેચ, ઇંગ્લેન્ડ 51 મેચ જીત્યું અને 50 મેચ ડ્રો થઇ છે. 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ ટેસ્ટ (ઇંગ્લેન્ડમાં)

કુલ ટેસ્ટ: 67, ભારત જીત્યું: 9, ઇંગ્લેન્ડ જીત્યું: 36, ડ્રો: 22

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ ટેસ્ટ (ભારતમાં)

કુલ ટેસ્ટ: 69, ભારત જીત્યું: 26, ઇંગ્લેન્ડ જીત્યું: 15, ડ્રો: 28.

ધોની અને કોહલી ના કરી શક્યા એ ગિલ કરી બતાવશે? ઈંગ્લેન્ડમાં ગંભીરની પણ થશે 'અગ્નિપરીક્ષા' 2 - image
Tags :